અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધારી પોલીસને માહિતી મળી હતી કે, ભાડેર ગામમાં એક યુવકની હત્યા થઇ છે અને એનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો છે. આ માહિતીના આધારે ધારી એએસપી જયવીર ગઢવી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આજે વહેલી સવારે ભાડેર ગામમાં પહોંચ્યા હતા. જ્યાં એક વાડીમાં શંકા જતા પંચોની હાજરીમાં ખોદકામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો હતો.
ધારી પોલીસે યુવકના મોતનું સાચુ કારણ જાણવા માટે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. બીજી તરફ પોલીસને પરિવાર પર શંકા હોવાથી પોલીસે મૃતકના પરિવારજનો સહિત કેટલાક શંકાસ્પદોની પુછપરછ શરૂૂ કરી છે. આજે સાંજ સુધીમાં પોલીસ યુવકના મોતનું રહસ્ય ઉકેલી દેવી શક્યતા છે.
