હાઇવે ઉપર અફરાતફરીનો માહોલ, કાર સળગી જતા બાળક અને ડ્રાઇવરના મોત, દંપતીને બચાવી લેવાયું
કેસરીગઢ રિસોર્ટ નજીક ભયાનક અકસ્માત, વાહન-વ્યવહાર બંધ કરાયો
કચ્છ જિલ્લાના ભચાઉ હાઈવે પર રવિવારે મોડી રાતે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેસરીગઢ રિસોર્ટ નજીક એકસાથે ચાર વાહનો અથડાતા આખા વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ. અકસ્માત બાદ એક કારમાં આગ ફાટી નીકળતા દ્રશ્યો અત્યંત ભયાનક બન્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી. આ ઘટનામા બાળક સહિત બે ના મોત થયા હતા. જેમાં ગાંધીધામ ભારતનગરમાં રહેતા અઢી વર્ષના બાળક વિરાજ કેતનકુમાર શ્રીમાળી, તેમજ ટ્રક ચાલક મુન્દ્રાના અજય વિન્દ્રેશ્ર્વરરાય ઉવ.47નું મોત થયાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના પગલે હાઈવે ઉપર ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને તાત્કાલીક વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પર ચાલતા નાના અને મોટા વાહનો એકબીજાને ટક્કર મારતા અકસ્માત થયો હતો. ટક્કર બાદ કેટલાક વાહનોમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક કાર સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી ગઈ. કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શકે તે પહેલાં જ આગ ઝડપથી ફેલાઈ હતી. પરિણામે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.
આગ લાગેલી કારમાં સવાર એક પરિવારને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પતિ-પત્નીને બચાવી લેવામાં સફળતા મળી હતી, પરંતુ બાળક આગમાં ફસાઈ ગયો હતો. ભારે પ્રયાસો અને પાણીનો મારો ચલાવ્યા બાદ પણ બાળકને બચાવી શકાયું નહોતું. આ ઉપરાંત એક અન્ય વાહનના ડ્રાઈવરનું પણ આગ અને ટક્કરના કારણે મોત થયું હતું.
અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ અને ફાયર વિભાગે તરત જ માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવ્યા બાદ બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી. સમગ્ર ઘટના દરમિયાન હાઈવે પર લાંબો સમય સુધી વાહનવ્યવહાર અટકાયો હતો.
ફાયર અધિકારીએ જણાવ્યું કે કોલ મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એક કારમાં બાળક અને દંપતી ફસાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. બચાવ કામગીરી દરમિયાન બે લોકોના મૃતદેહો રિકવર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા અકસ્માતના કારણો જાણવા તપાસ હાથ ધરાઈ છે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
