ગુજરાત
30 કરોડની જમીનનો બોગસ સોદો કરી 1.90 કરોડ પડાવી લીધા
અટલ સરોવરની બાજુમાં આવેલી સોનાની લગડી જેવી પાંચ એકર જમીનનો બોગસ માલિક ઊભો કરી ફરસાણના વેપારીને શીશામાં ઉતાર્યો, ત્રણ ચીટર સામે ગુનો નોંધાયો
શહેરના અટલ સરોવર પાસે આવેલી ઘંટેશ્ર્વરના જમીન માલીકની 30 કરોડની જમીનનો બોગસ સોદો કરી જમીન દલાલ સહિત ત્રણ શખ્સોએ રૂા.1.90 કરોડ પડાવી લીધાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જમીનના મુળ માલીકના બદલે નકલી વ્યક્તિના નામે સાટાખત કરીને ફરસાણાના વેપારીને ચીટર ટોળકીએ શિશામાં ઉતાર્યો હતો. આ મામલે પોલીસે આ ચીટર ટોળકીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર હનુમાન મઢી પાસે તિરૂપતિનગર-2માં રહેતા અને હનુમાન મઢી પાસે મુરલીધર ફરસાણ નામે દુકાન ચલાવતાં જમીન લે-વેચનું કામ કરતાં ભુપતભાઈ ગોવિંદભાઈ ઠુંમરે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જમીનના દલાલ મનીષ કચરા દેત્રોજા તેમજ તેની સાથેના રવિ વાઘેલા અને શૈલેષ તેમજ જમીનના મુળ માલીકનું નામ ધારણ કરીને આવેલા શખ્સનું નામ આપ્યું છે.
ફરસાણના વેપારી ભુપતભાઈને જમીન લેવી હોય જેથી જમીનના દલાલ મનીષ સાથે વાતચીત કરી હતી અને મનીષ રૈયા રોડ પર આવેલી મુરલીધર ફરસાણ નામની ભુપતભાઈની દુકાને મળવા ગયો હતો તેણે વેજા ગામની એક જમીન બતાવી હતી જે ભુપતભાઈને પસંદ આવી ન હતી. ત્યારે અઠવાડિયા પછી મનિષ અટલ સરોવર પાસે તેના મિત્રના મામાની જગ્યાનો સોદો થયો હોય અને તે જમીન સસ્તા ભાવે વેચવાની હોવાની વાત કરી હતી.
આ જમીનના માલીક ઘંટેશ્ર્વરના ઘુસાભાઈ ઘેલાભાઈ સિતાપરા હોય અને તેનો ભાણેજ શૈલેષ જે મનીષ સાથે જમીનની વાત કરવા માટે આવ્યો હતો અને શૈલેષભાઈ મારફતે મનીષે આ જમીન છ કરોડના એકરના ભાવમાં સોદો કર્યા બાદ ટોકન આપ્યું હોય પરંતુ મનીષથી હવે બાકીની રકમ આપી શકાય તેમ ન હોય તેથી હવે આઠ કરોડ એકરના ભાવે પાંચ એકર જગ્યા જેની કુલ કિંમત 30 કરોડ થાય તે વેચવાની વાત કરી હતી. અટલ સરોવર પાસે આવેલી આ જગ્યા જોવા માટે ભુપતભાઈ, મનીષ અને શૈલેષ ત્રણેય ગયા હતાં.
અને જમીન પસંદ આવતાં કાગળો માંગતા 7,12 તથા 8-અની ખરી નકલ આપી હતી. જેમાં જમીનના માલીક ઘુસાભાઈ ઘેલાભાઈ સિતાપરાનું નામ હોય બાદમાં જમીનના માલીક ઘુસાભાઈનું આધારકાર્ડ, પાનકાર્ડની નકલ દુકાને આવી શૈલેષ અને મનીષ આપી ગયા હતાં. સોદો નક્કી થયા મુજબ દોઢ વર્ષમાં રૂા.30 કરોડ આપવાના અને સાટાખતની વાત કરી હતી તે વખતે બે કરોડ આપવાની વાત કરતાં સપ્તાહનો સમય ભુપતભાઈએ માંગ્યો હતો બાદમાં ગત તા.13-9-2023નાં રોજ ભુપતભાઈએ આ જમીનનું સાટાખત કર્યુ હતું ત્યારે ભુપતભાઈ પક્ષે તેમના જમાઈ પ્રિતેશ ગીરધર ખુંટ તથા મિત્ર મોસીન સાથે રહ્યા હતાં. જ્યારે સામા પક્ષે મનીષભાઈ, શૈલેષભાઈ તથા રવિભાઈ તેમજ જમીન માલીક ઘુસાભાઈ સિતાપરા એમ ચારેય ત્યાં આવ્યા હતાં અને સાટાખત કરી આપ્યું હતું. આ જમીનના સોદા પેટે રૂા.5,21,35000માં સોદો થયો હતો અને એક કરોડ સુથી પેટે આપવાનું નક્કી થયું જેમાં 50 લાખનો ચેક અને 50 લાખ રોકડા આપવાના હતાં પરંતુ મનીષે ચેકની ના પાડતાં રોકડા આપવાની વાત થઈ હતી અને બે ચેક 10-10 લાખના આપ્યાહતાં. જે બીજુ પેમેન્ટ આપે ત્યાં સુધી રાખવાની વાત કરી હતી ત્યારબાદ કુલ 6 કટકે રૂા.1.90 કરોડ આપ્યા હતાં. અને ચેક પાસા મેળવી ભુપતભાઈએ સાટાખત મુજબ છ માસ બાદ દસ્તાવેજ કરવાનો હતો અને દોઢ વર્ષમાં પેમેન્ટ પુરૂ કરવાનું નક્કી થયું હતું.
ચાર મહિના પહેલા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે ટવીન ટાવરમાં વોર્ડ નં.3ના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા અને તેમના મિત્ર મયુર રાદડિયાની ઓફિસે ભુપતભાઈ ગયા ત્યારે આ જમીન બાબતની વાતચીત કરતાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ આ જમીન ઘુસાભાઈએ મને વેચવાની ના પાડી હોય તો તમને કયારે વેચી ? આ પ્રશ્ર્ન બાબતે પોતાના ઘરેથી સાટાખત મંગાવતાં તે સાટાખતમાં જે ફોટો લગાડેલો હતો તે ઘંટેશ્વરના ઘુસાભાઈનો નહીં હોવાનું નરેન્દ્રસિંહએ જણાવતાં ભુપતભાઈએ આ બાબતે મનીષને ફોન કરીને રૂબરૂ મળવા બોલાવ્યો ત્યારે ખોટી રીતે જમીન વેચેલ હોવાની વાત જાણી ગયા બાદ મનીષે આ વાત કોઈને નહીં કરવા અને પોતાની ટંકારાના બંગાવડી ગામની જમીન વેચીને રૂા.1.90 કરોડ પરત આપી દેવાની વાત કરી હતી. પરંતુ રૂપિયા પરત નહીં અપાતા આ મામલે ભુપતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ માલિકના બદલે ડુપ્લિકેટ મારફતે જમીનના સોદા કરવાનો નવો કીમિયો
ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી ભુમાફીયાઓમાં જમીન કૌભાંડ માટે નવો કિમીયો અજમાવવામાં આવ્યો છે. જેમાં જમીનના મુળ માલિકને અંધારામાં રાખી તેના હમસકલ કે પછી કોઈ અન્ય વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજો ઉભા કરી જમીન કૌભાંડ આચરવામાં આવે છે. સુરતમાં પારસીની 100 કરોડની જમીન બારોબાર વેચવા માટે આ જ મોડસ ઓપરેડીંગનો ઉપયોગ થયો હતો તેમજ અમદાવાદમાં તાજેતરમાં જમીન માલીકના ડુપ્લીકેટ મારફતે કરોડોની જમીન બારોબાર વેચી નાખવાનો કારસો રચાયો હતો. આવા બનાવોમાં ઘણી વખત ભળતા નામ કે ચહેરા વાળા વ્યક્તિના મારફતે ભુમાફીયાઓ કરોડોની જમીન બારોબાર વેચી નાખે છે. આવા બનાવોમાં હવે પોલીસ અને વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. ગુજરાતમાં આ પ્રકારનાં જમીન કૌભાંડનો આ ત્રીજો કિસ્સો સુરત, અમદાવાદ અને રાજકોટમાં નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ