પાકિસ્તાનની કરાચી જેલમાં કેદ ભારતીય માછીમારોના પરિવાર જનો માટે વર્ષો વીતી ગયા છતાં રાહનો અંત આવ્યો નથી. માછીમારી કરવા દરિયામાં ગયેલા અનેક માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં પહોંચ્યા બાદ સજા પૂરી કરી ચૂક્યા હોવા છતાં હજુ સુધી ભારતપરતઆવી શક્યા નથી. પરિવારજનોનો આક્ષેપ છે કે વર્ષોથી તેમને પોતાના સ્વજનોની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી.
સામાજિક કાર્યકર જતિન દેસાઈના જણાવ્યા મુજબ, કરાચીની જેલમાં કેદ 198 ભારતીય માછીમારો પૈકી 178 માછીમારો પોતાની સજા પૂર્ણ કરી ચૂક્યા છે, તેમ છતાં તેઓ પાકિસ્તાનની જેલમાં જ છે. પરિવારજનો દ્વારા સરકાર સમક્ષ આ માછીમારોને તાત્કાલિક ભારત પરત લાવવાની માગ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામના રહેવાસી મહેશભાઈ સોલંકી જ્યારે માછીમારી માટે દરિયામાં ગયા ત્યારે પત્ની ભાણવાબેનને છેલ્લે એટલું જ કહ્યું હતું કે, હું માછલી પકડવા જાઉં છું અને પાછો આવી જઈશ, ચિંતા ન કરતી. પરંતુ પતિના આ શબ્દોને છ વર્ષ વીતી ગયા છે. આજે પણ ભાણવાબેન પોતાના પતિ પરત ફરશે તેવી આશાએ રાહ જોઈ રહ્યાં છે.માત્ર 17 વર્ષની ઉંમરે લગ્ન કરનાર મહેશભાઈ અને ભાણવાબેનનબે પુત્રો છે. પતિની ગેરહાજરીમાં પરિવાર ની જવાબદારી પણ ભાણવાબેનના ખભા પર આવી પડી છે. મહેશભાઈના માતાનું પણ અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે પરિવાર તેમના પથારીવશ સસરા સાથે રહે છે.
પતિની ગેરહાજરીને કારણે પરિવારની આર્થિક સ્થિતિ પણ મુશ્કેલ બની ગઈ છે. આવી જ સ્થિતિ અન્ય પરિવારજનોની પણ છે. મંજુબેન બારિયા ના પુત્ર મયુરને વર્ષ 2021માં પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશવાના આક્ષેપસર પકડી લેવામાં આવ્યો હતો. મંજુબેનના જણાવ્યા મુજબ મયુર જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન માછીમારી માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડની ખબર પરિવાર સુધી પહોંચી હતી. મહેશભાઈની ઉંમર આશરે 45 વર્ષ છે અને તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા ખેતી મજૂરી કરતા હતા. દિવસભરની મહેનતબદલ તેમને આશરે રૂૂ.300 જેટલી મજૂરી મળતી હતી. પરિવારની આર્થિક પરિસ્થિતિ પહેલેથી જ નબળી હતી, ત્યારે પતિની પાકિસ્તાનમાં કેદ બાદ પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાયો છે.
પરિવારજનોનું કહેવું છે કે માછીમારોના પરિવારો માટે આ માત્ર કાયદાકીય કે સરહદી મુદ્દો નથી, પરંતુ તેમના જીવનનો પ્રશ્ન છે. વર્ષોથી પોતાના સ્વજનની રાહ જોતા પરિવારજનો હવે સરકાર ઝડપથી કાર્યવાહી કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.ગુજરાતના 144 માછીમારો પાકિસ્તાનની જેલમાં પાકિસ્તાન ની જેલોમાં કેદ ભારતીય માછીમારોમાં મોટી સંખ્યા ગુજરાતના માછીમારોની છે. ઉપલબ્ધ વિગતો અનુસાર 144 માછીમારો ગુજરાતના, 24 દીવના અને 18 મહારાષ્ટ્રના હોવાનું જણાવાયું છે. ઘણા માછીમારોને પરિવારજનો સાથે સીધો સંપર્ક કરવાની પણ પૂરતી તક મળતી નથી.
