શહેરમાં માતા-પીતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પરિવારની જાણ બહાર પિતાનો છકડો રીક્ષા લઈને નીકળેલો 15 વર્ષીય સગીર ઘરથી થોડે દૂર પહોચતા જ છકડો પલ્ટી મારી ગયો હતો. અકસ્માતમાં યુવકને પાંસળીમાં ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કરતો જ પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
આ અંગેની વિગતો મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈવે સાત હનુમાન મંદિરના પાછળના ભાગે રહેતો 15 વર્ષીય રોહન ભલાભાઈ ચૌહાણ નામનો સગીર પરિવારની જાણ બહાર રવિવારે સવારે 10 વાગ્યા આસપાસ પિતાનો છકડો રીક્ષા લઈને ચક્કર મારવા નીકળી ગયો હતો. દરમિયાન રોહન આઇઓસી ગેસ પ્લાન્ટ પાસે પહોંચતા છકડો પલ્ટી મારી ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળું એકઠું થઈ ગયું હતું રાહદારીઓ દ્વારા ઇજાગ્રસ્ત હાલતમાં સગીરને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં ઇમરજન્સી વિભાગના તબીબે મૃત જાહેર કર્યા હતો.
બનાવની જાણ થતા સગીરા પરિવારજનો તેમજ કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, મૃતકના પિતા ભલાભાઈ મંડપ સર્વિસમાં છકડો રીક્ષાથી ફેરા મારે છે. સવારે ઘરથી પરિવારનો જાણ બહાર રોહન છકડો લઈને નીકળી ગયો હતો.મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરે હતો. અકસ્માતમાં રોહનની પાંસળી ભાંગીને ફેફસાંમાં ખૂંપી ગઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું બનાવને લઈને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
