સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાના પ્રયાસમાં પોલીસે અંતે આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં પોલીસે આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી અને એ જ આરોપી નીકળ્યો છે.આરોપી નિકુંજના મામા અનભ જેમ્સમાં મેનેજર છે અને નિકુંજ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો.
નિકુંજે મિત્ર પાસેથી 8,00,000 ઉધાર લીધા હતા. જે ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. સવારે દુકાનમાંથી ઝેરી દવા સેલ્ફોસ ખરીદી હતી. ફિલ્ટર પાસે જઈને આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાંખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. જે બાદ લોકોની અવરજવરથી ભયભીત થઈ ગયો અને કોઈને ખબર ન પડે તે માટે સેલફોસનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું.
નિકુંજ લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યો હતો. જેથી તેણે ઉધારમાં આઠ લાખ રૂૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો. નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.સુરતમાં કાપોદ્રાની અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં 10 ગ્રામ વજનનું સેલ્ફોસનું પાઉચ ભેળવી સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરવાની હિચકારી ઘટનામાં પોલીસે મેનેજરની ફરિયાદને આધારે અંદરના જાણભેદુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોણાનવથી સાડાનવ વાગ્યાના પોણા કલાક દરમિયાન 60 વ્યક્તિ ફિલ્ટર પાસે પાણી લેવા ગઈ હતી. તેમાંથી જ કોઇનું આ કૃત્ય હોવાની શંકા સાથે ફિલ્ટર તરફ જતા-આવતા કર્મચારીઓના અંદરની તરફ લગાવવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ થયેલા હાવભાવને આધારે જાણભેદુને અલગ તારવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
મેનેજરના ભાણિયા નિકુંજ નામના યુવકે સુપરવિઝન કરતાં મામા કાંતિભાઈને પીવાના પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતાં પેઢીના મેઇન મેનેજર હરેશભાઈએ પાણીનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું. કૂલરની અંદરથી જે વસ્તુ મળી હતી એ જોતાં જ બધાની જાણે આંખો ફાટી ગઈ હતી. પાણીની અંદર સેલ્ફોસનું પાઉચ તરી રહ્યું હતું. ઉપરનું પ્લાસ્ટિક ફાટેલું હતું અને અંદર કાગળમાં પેક ગોળીઓ પાણીમાં ભળી ગયાની શંકા સાથે જ અફરાતફરી મચી ગઈ હતી.
118 વ્યક્તિને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 111 વ્યક્તિને રજા આપી દેવાઈ છે.ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્નકલાકારની સ્થિત બગડતાં 104ને કિરણ હોસ્પિટલ અને ડાયમંડ હોસ્પિટલમાં, 14 દર્દીને ખસેડ્યા હતા, જેમાંથી ગુરુવારે બંને હોસ્પિટલમાંથી કુલ 111 જેટલા રત્નકલાકરોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 7 રત્નકલાકાર બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ જથ્થો કઇ કઇ દુકાનોમાં ગયો હતો અને આ પૈકીની કોઇ દુકાનમાં આ કારખાના સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે તેમના પરિચિતે ખરીધો હતો? એની પણ તપાસ હાથ ધરી હતી.પોલીસે અત્યારસુધી કારખાનેદાર સહિત કારખાના સાથે સંકળાયેલી 60થી વધુ વ્યક્તિઓનાં નિવેદન લીધાં હતા.
