ગુજરાત
ભારે વરસાદથી 10નાં મોત, 535નું રેસ્કયૂ, 4238નું સ્થળાંતર
રાજયનાં 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર
બોરસદ, નવસારી, બીલીમોરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, વાહન-ટે્રન વ્યવહાર પ્રભાવિત
ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. નદીઓ વહેતી થઈ ગઈ છે અને ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પૂરને કારણે વરસાદ સંબંધિત અકસ્માતોમાં 10 લોકોના મોત થયા છે. જેમાં આજે સવારે હિંમતનગરના રાજપુર પાસે મકાનની દીવાલ ધસી પડતા માતા-પુત્રના મોતનો પણ સમાવેશ થાય છે.જયારે ગઇકાલ સુધીમાં 535 નાગરિકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું જયારે 4238 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દરમિયાન, હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં 28 જુલાઈ સુધી ભારે વરસાદથી રાહત મળવાની નથી.
હવામાન વિભાગે 24 અને 25 જુલાઈએ ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પછી 26, 27 અને 28 જુલાઈએ ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઇએમડી એ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશના આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે અમરેલીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, દ્વારકા જીલ્લામાં કરેલ છે. ગુજરાત પ્રદેશના ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે વહીવટીતંત્રે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક ફાયર બ્રિગેડની સાથે એનડીઆરએફ, એસડીઆરએફના જવાનોને તૈનાત કર્યા છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સવારે 8 વાગ્યાથી માત્ર ચાર કલાકમાં 314 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ લગભગ 400 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એનડીઆરએફની ટીમ ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે.
ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્રએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. નવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધી જતાં નવસારી અને બીલીમોરા શહેરમાં અંદાજે 150 લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. કાવેરી અને અંબિકા જેવી નદીઓ પણ તેમના ખતરાના નિશાનની નજીકથી વહી રહી છે, જેના કારણે ઘણી જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે. વડોદરા ડિવિઝનમાં રેલવે બ્રિજ નીચે પાણીનું સ્તર વધવાને કારણે 11 એક્સપ્રેસ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે જ્યારે ચાર ટ્રેનો રદ કરવામાં આવી છે.
ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યના 7 જિલ્લાઓમાંથી કુલ 4,238 નાગરિકોનું સ્થળાંતર તથા 535 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરાઇ છે તથા એનડીઆરએફની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. તા. 23 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકામાં 03, બનાસકાંઠામાં 02, કચ્છ 02, રાજકોટ 01, અને સુરત 01 એમ કુલ 09 માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઇ જવાના કારણે નિપજ્યાં છે. વરસાદને પગલે વીજળીના કારણે 5817 ગામડાઓ પૈકી 5796, 11358 ફીડર પૈકી 11037, 5255 પોલ પૈકી 4211 અને 317 ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી 184 પૂર્વવત કરાયા છે. વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી 30 ને પૂર્વવત કરાયા છે જેમા 02 રાજ્યના માર્ગો, 23 પંચાયત ના અને 5 અન્ય માર્ગો છે.
અનારાધાર વરસેલા વરસાદના પગલે જઝ બસ સેવા પર પણ ભારે અસર પડી છે રાજ્યના 16 વિભાગની 33 જિલ્લામાં બસ સેવા પર અસર પડી છે. 78 રૂૂટની 230 ટ્રીપ બંધ કરાઈ છે. અત્રે જણાવીએ કે, કચ્છના 24 રૂૂટની 53 ટ્રીપ અને જૂનાગઢના 29 રૂૂટની 120 ટ્રીપ બંધ કરવાની ફરજ પડી છે. તો પોરબંદરના 10 રૂૂટની 30 ટ્રીપ બંધ કરવામાં આવી છે. જ્યારે દ્વારકાની 7 રૂૂટની 7 ટ્રીપ અને રાજકોટના 6 રૂૂટની 6 ટ્રીપ બંધ કરાઈ છે
જળાશયોમાં 54.61 ટકા જળસંગ્રહ
હાલ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ 182444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 2,36,849 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.28 ટકા છે. જેમાં કુલ ક્ષમતાના 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 46, 70 થી 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 25, 50 થી 70 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 41, 25 ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા 69 છે. રાજ્યના 206 ડેમ પૈકી 51 ડેમને હાઇ એલર્ટ પર , 8 ડેમને એલર્ટ અને 12 જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.
17 સ્ટેટ હાઇવે સહિત 666 રસ્તા બંધ, એસ.ટી.ની 230 ટ્રીપ રદ કરાઇ
રાજ્યમાં સ્ટેટ હાઈવે 17 બંધ છે, 42 અન્ય તથા 607 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. કુલ 666 રસ્તાઓ બંધ છે. આવતીકાલે સૌરાષ્ટ્રના 2 તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ રહેશે. ગઈકાલે દ્વારકામાં એરલિફ્ટ કરાયા હતા, આજે સુરતના લુહાર ગામમાં એરલિફ્ટ કરવા માટે સુચના અપાઈ છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ