ગાંધીગ્રામમાં માવતરે રહેતી પરિણીતાની કાલાવડના આણંદપર રહેતા પતિ, સાસુ-સસરા અને જેઠ સામે ફરિયાદ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં માવતરે રહેતી પરિણીતાએ કાલાવડના આણંદપર ગામે રહેતા પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ‘તારો બાપ તો ભિખારી છે, કરીયાવરમાં કશું આપ્યું નથી’ કહી ત્રાસ આપતાં હોવાનું જણાવતાં પોલીસે સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીગ્રામમાં રહેતી પુજાબેન અજયપરી ગૌસ્વામી (ઉ.21) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાલાવડના આણંદપર ગામે રહેતા તેના પતિ અજયપરી જયસુખપરી ગૌસ્વામી, સસરા જયસુખપરી, સાસુ તૃપ્તીબેન અને જેઠ રવિપરીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેનાં લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. લગ્નના બે મહિના બાદથી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેના સસરા અને જેઠ કરીયાવર બાબતે ત્રાસ આપી ‘તારા બાપમાં આટલું જ આપવાની તેવડ છે, તારો બાપ ભિખારી છે, તને કરીયાવરમાં કશું આપ્યું નથી’ તેમ કહી મેણાટોણા મારી ત્રાસ આપતાં હતાં અને પતિ પણ નાની નાની વાતમાં શંકા કરી ઝઘડો કરતો હતો અને માવતરે જવા દેતો ન હતો.
પતિ મોબાઈલમાં અન્ય સ્ત્રી સાથે વિડિયો કોલ અને મેસેજમાં વાત કરતો હોય જે બાબતની જાણ થતાં તેણે પતિને જણાવ્યું તો પતિએ કહેલું કે ‘તારે જાણવાની જરૂર નથી’ આ બાબતે તેના સસરાને જાણ કરતાં તેણે પણ કોઈ જવાબ આપ્યો ન હતો. બાદમાં વર્ષ 2024માં ભીમ અગિયારસ કરવા તેણે માવતરે આવ્યા બાદ પતિ સહિતના સાસરીયા તેડવા આવ્યા ન હતાં. જેથી તેણી છેલ્લા એક વર્ષથી માવતરે રહેતી હોય આ બાબતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
