પરપ્રાંતિય યુવાન દોઢ વર્ષથી કામ કરતો હતો
શહેરના આજી ડેમ ચોકડી પાસે રહેતો શ્રમિક યુવાન લોઠડા ગામે કારખાનામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીજશોક લાગતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, મુળ ઉત્તરપ્રદેશનો વતની અને છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં આજી ડેમ ચોકડી પાસે રામવન નજીક રહેતો દિનેશ સુરેન્દ્રભાઈ રાજભર (ઉ.35) નામનો યુવાન લોઠડા ગામે ગરૂડા એલ્યુમિનિયમ કંપનીમાં કામ કરતો હોય આજે સવારે કારખાનામાં કામ કરતો હતો ત્યારે માલ કાઢવા જતાં અકસ્માતે વીજ શોક લાગતાં બેભાન થઈ ઢળી પડયો હતો. જેથી તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
