રાજુલાના ચારબેટ ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ સાવરકુંડલાથી ભગુડા જતો હતો ત્યારે રાજુલા રેલ્વે સ્ટેશન સામે અચાનક રસ્તા પર ગાય આવી જતા બાઈક અથડાયું હતું જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ તાલુકાના ચારબેટ ગામે રહેતા રવજીભાઈ જગુભાઈ સિયા નામનો 18 વર્ષનો યુવાન ગત તા.13 ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં રાજુલા રેલ્વે સ્ટેશન પાસેથી પોતાનું બાઈક લઇ પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા પર નીલ ગાય આડી ઉતરતા બાઈક ગાય સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રવજીભાઈ સિયા બે ભાઈ ત્રણ બહેનમાં નાનો અને અપરિણીત હતો રવજીભાઈ સિયા સાવરકુંડલાથી ભગુડા જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે રાજુલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
