ઉનાના નવાબંદર દરિયાકાંઠેથી છ ખલાસીઓ સાથે 13 એપ્રિલના રોજ બપોરે 11 વાગ્યે માછીમારી માટે નીકળેલી મીનાબેન અર્જુનભાઈ બાંભણીયાની ’કૃષ્ણ સાગર’ બોટ નં. GJ-14-MM-1932 ગત 14 એપ્રિલની મોડી રાત્રે નવાબંદરથી આશરે 10 નોટિકલ માઈલ દૂર માછીમારી કરી રહી હતી.અચાનક દરિયામાં ભારે પવન ફૂંકાતાં વિરાટ મોજાં ઉછળ્યાં હતા. મોજાંના પ્રચંડ તાંડવે ’કૃષ્ણ સાગર’ બોટને ઘેરી લીધી અને ઊંડા પાણી વચ્ચે બોટ જળસમાધિ લઈ ગઈ.પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવતાં જ બોટમાં રહેલા ટંડેલ અને ખલાસીઓએ સમય સૂચકતા વાપરી બોટમાં રહેલી જીવનરક્ષક સામગ્રી સાથે દરિયામાં છલાંગ લગાવી દીધી. ભરત જીણા, શાંતિ બાબુ, શાંતિ અરજણ, જીવરાજ, ધનજી લાલજી ઉર્ફે લાલો અને ભરત સહિતના છ ખલાસી ઓએ જીવ બચાવવા માટે ઊંડા પાણી વચ્ચે જંગ ખેલ્યો હતો.
આ દરમિયાન નજીકમાં માછીમારી કરી રહેલી નવાબંદરના અરજણભાઈ બાબુભાઈની ’કનકેશ્વરી’ અને ’જયવંશી’ નામની બોટ તાત્કાલિક મદદે દોડી આવી હતી. બંનેબોટે જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા તમામ છ ખલાસી ઓને સલામત રીતે બચાવી લઈ પોતાની બોટમાં લઈ લીધા હતા અને મોડી રાત્રે નવાબંદરના દરિયાકાંઠે સુરક્ષિત પરત લાવ્યા હતા.
આ ઘટના અંગે બોટમાલિક મીનાબેન અર્જુનભાઈ બાંભણીયાએ જણાવ્યું કે, “ભારે પવનને કારણે ઊછળેલા મોજાંની થપાટથી બોટમાં પાણી ભરાઈ જતાં બોટ સીધી જ ડૂબી ગઈ. બોટની અંદર રહેલી તમામ સાધનસામગ્રી અને માછીમારીનો સામાન દરિયામાં તણાઈ જતાં લાખો રૂૂપિયાનું ભારે નુકસાન થયું છે. સદનસીબે બોટના તમામ ખલાસીઓ સલામત રીતે પરત આવી ગયા છે.”ગામના સરપંચ અને માછીમાર અગ્રણી સોમવારભાઈ મજીઠીયા સહિતના આગેવાનોએ ડૂબેલી બોટને અન્ય બોટોની મદદથી દરિયાકાંઠે લાવવા માટે તજવીજ હાથ ધરી છે.
