શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધોનો વિરોધ કરતા પત્ની પર છેલ્લા ત્રણ વર્ષથી સિતમ ગુજારવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.
ફરિયાદી ભારતીબેન દિનેશભાઈ પરમાર (ઉં.વ. 39), જેઓ સિવિલ હોસ્પિટલમાં હાઉસકીપિંગનું કામ કરે છે, તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2006માં તેમણે પોતાના ફોઈના દીકરા દિનેશ નાથાભાઈ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનના 19 વર્ષ દરમિયાન તેમને બે બાળકો પણ છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી દિનેશભાઈને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ ભારતીબેનને થતા ઘરમાં કંકાસ શરૂૂ થયો હતો. પતિ આ બાબતે કોઈ દખલગીરી ન કરવા કહી અવારનવાર મારપીટ કરતો હતો.
દિકરીની ધોરણ 10ની પરીક્ષા હોવાથી શાંતિ જળવાય તે હેતુથી ભારતીબેન છેલ્લા 20 દિવસથી રૈયાધાર બી-વિંગમાં રહેતા પોતાના સાસુ-સસરાના ઘરે રહેવા જતા રહ્યા હતા. ગત તારીખ 18/03/2026ના રોજ રાત્રે 10:30 કલાકે આરોપી દિનેશ ત્યાં પહોંચ્યો હતો અને પત્નીને બળજબરીથી પોતાના ઘરે આવવા દબાણ કર્યું હતું. ભારતીબેને ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ ગાળો આપી, દરવાજા પર પાટા મારી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને “જો તું નહીં આવે તો તને ધાબા પરથી નીચે ફેંકી દઈશ” તેવી ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઘટના બાદ ગભરાઈ ગયેલા ભારતીબેને આખરે હિંમત ભેગી કરી ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી દિનેશભાઈ નાથાભાઈ પરમાર વિરુદ્ધ બી.એન.એસ. કલમ 85, 115(2), 351(3) અને 352 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ સરોજભાઈ રત્નાને સોંપી છે.
