પડધરીમાં જામનગર રોડ પર આવેલા કારખાનામાં કામ કરતી પરિણીતાએ તોફાન કરતાં બાળકોને માર માર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ફડાકા ઝીંકી દીધા હતાં. જેથી પરિણીતાને માઠુ લાગતાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાએ આપઘાત કરી લેતાં ત્રણ બાળકોએ માતાનું છત્ર ગુમાવતાં શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીમાં જામનગર રોડ પર આવેલ દુર્ગા ફૌજીંગ નામના કારખાનામાં કામ કરતી બીજલીબેન સંગીતદાસ નામની 30 વર્ષની પરિણીતા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ પરિણીતાએ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.પ્રાથમિક પુછપરછમાં મૃતક બીજલીબેન મુળ બિહારની વતની હતી અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પુત્ર તોફાન કરતાં હોવાતી બીજલીબેને માર માર્યો હતો. જેથી પતિ સંગીતદાસે બાળકોને માર મારવા મુદ્દે પત્નીને ફડાકા ઝીંકી દીધા હતાં. પતિએ ફડાકા મારતાં માઠુ લાગી આવતાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
