વડોદરામાં બાજવા બ્રિજ તેના લોકાર્પણના માત્ર બે વર્ષની અંદર જ વિવાદમાં આવ્યો છે. રૂૂ. 39 કરોડના ખર્ચે નવો બનાવેલો આ બ્રિજનો બાજવા ગામ તરફ જતો એપ્રોચ અચાનક બેસી ગયો છે. બ્રિજનો આ ભાગ બેસી જતાં રસ્તા પર મોટો ખાડો પડ્યો છે, જેને કારણે વાહનવ્યવહાર જોખમી બન્યો છે.
આ બ્રિજ બાજવા અને આસપાસના વિસ્તારના હજારો લોકોને જોડે છે, ત્યારે આટલા ટૂંકા ગાળામાં જ તેનું ધસી પડવું એ બાંધકામમાં વપરાયેલી ગુણવત્તા અને સામગ્રી પર ગંભીર સવાલો ઊભા કરે છે.
પ્રાથમિક તપાસ મુજબ, આ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનોના સતત ટ્રાફિકને કારણે આ એપ્રોચ રોડના પાયામાં નુકસાન થયું હોવાની સંભાવના છે, જેને કારણે રસ્તાનો ભાગ બેસી ગયો છે. જોકે, બાંધકામની ગુણવત્તા ખરાબ ન હોય તો માત્ર બે વર્ષમાં આટલું મોટું નુકસાન થવું અશક્ય છે.
સત્તાવાળાઓ દ્વારા જો આ બેસી ગયેલા ભાગનું તાત્કાલિક સમારકામ કરવામાં ન આવે તો ટ્રાફિકના દબાણથી વધુ નુકસાન થવાની સંભાવના છે. જો બ્રિજને મોટો નુકસાન થાય તો વાહનવ્યવહાર થંભી જશે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.બાજવા બ્રિજના બેસી જવાની ઘટનાથી નાગરિકો અને સ્થાનિક નેતાઓએ આ પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે. કરોડો રૂૂપિયાનો ખર્ચ કર્યા પછી જો બે વર્ષમાં જ બ્રિજનો ભાગ બેસી જતો હોય, તો આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે.
આ ઘટના ટેન્ડર પ્રક્રિયા, બાંધકામની દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણની સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કરે છે. વડોદરા મહાનગરપાલિકા કે રાજ્ય સરકારે આ મામલે તાત્કાલિક પગલાં લઈ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી જાહેર જનતાના પૈસા અને સુરક્ષાનું રક્ષણ થઈ શકે.
