શહેરમાં માધાપર ચોકડીએ રહેતાં વેપારી સ્કૂટર લઈ કુવાડવામાં આવેલી પોતાની કરીયાણાની દૂકાને જતા હતા. ત્યારે બેડી ચોકડી નજીક અજાણ્યા કાર ચાલકે વેપારીના સ્કુટરને ઠોકરે ચડાવ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વેપારીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે મેરીગોલ્ડ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં નિલેષભાઇ હરિદાસભાઇ ભીંડોરા (ઉ.વ.59) સવારના દસેક વાગ્યના અરસામાં ઘરેથી એક્ટીવા હંકારી કુવાડવા ગામમાં આવેલી પોતાની કરિયાણાની દૂકાને જવા નીકળ્યા હતા ત્યારે બેડી ચોકડી નજીક અજાણ્યો કારચાલક ઠોકરે ચડાવી ભાગી ગયો હતો.
ઘટનાને પગલે એકઠા થયેલા લોકોમાંથી કોઇએ નિલેષભાઇનો ફોન ચેક કરતાં છેલ્લે તેમણે ભત્રીજા સાથે વાત કરી હોઇ તેમાં કોલ જોડતાં સગાને બનાવની જાણ થઇ હતી. નિલેષભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક નિલેષભાઇ છ ભાઇ એક બહેનમાં વચ્ચેટ હતાં અને તેમને સંતાનામં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્ર દુબઇમાં રહી કામ કરે છે. નિલેષભાઇ કુવાડવામાં કરિયાણાનો વેપાર કરતાં હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
