જસદણ તાલુકાના કનેસરા ગામ નજીક પાણીના સંપ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. મૃતક જામ રાજા વડલા ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ જાદવભાઈ ઘોડકિયા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પોતાની પત્ની સાથે ભાણેજના લગ્નની ખરીદી કરવા જસદણ આવ્યા હતા.
ખરીદી પતાવીને દંપતી બાઈક પરત પોતાના ગામ તરફ ફરી રહ્યું હતું, ત્યારે કનેસરા નજીક સામેથી આવતા અન્ય એક બાઈક સાથે તેમની જોરદાર અથડામણ થઈ હતી.
આ અકસ્માતમાં બંને બાઈકના ચાલકોને ઈજાઓ થઈ હતી, પરંતુ વિઠ્ઠલભાઈ ઘોડકિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ભાડલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
