જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગોજારો અકસ્માત સર્જાયો છે. ધરમપુર ગામના પાટીયા પાસે એક ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની સાથે ધડાકાભેર અથડાઈ પડતાં ઈકો કારમાં બેઠેલા ખાનગી પવનચક્કી ની કંપનીના બે કર્મચારીઓ, કે જેઓને ગંભીર ઈજા થઈ હોવાથી બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા છે. સમગ્ર અકસ્માત મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતો અને એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો જગદીશ સામતભાઈ ગોજીયા નામનો 25 વર્ષ નો યુવાન પોતાના જ સાથી કર્મચારી મિલન લક્ષ્મણભાઈ બંધીયા સાથે ગઈકાલે ઇકો કારમાં બેસીને લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે થી પસાર થઈ રહ્યા હતા, અને પોતાના કંપનીના કામ અર્થે એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યા હતા.
જે દરમિયાન વહેલી સવારે આગળ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે ઇકો કાર અથડાઈ પડતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ઇકો કાર ચાલક જગદીશભાઈ અને બાજુની સીટમાં બેઠેલા મિલન બંધીયા બંનેને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક મિલનના કાકા રાજશીભાઈ અરશીભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ પોતાની ટીમ સાથે બનાના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ આકસ્માતમાં બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે કરુણાન્તિકા છવાઈ છે.
