શહેરમાં કેકેવી ચોક પાસે બે નશેડીએ દારૂના નશામાં બઘડાટી બોલાવી હતી. જેમાં એક આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના રાકીદેવડી ગામે રહેતાં સુખાભાઈ નરસીભાઈ ઉઘવાણીયા નામના 50 વર્ષના આધેડ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં કેકેવી ચોક પાસે બ્રીજ નીચે હતાં ત્યારે કરમશી નામના શખ્સે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત સુખાભાઈ ઉઘવાણીયા અને હુમલાખોર કરમશીભાઈ બન્ને દારૂના નશામાં હતાં અને દારૂના નશામાં ઝઘડો થતાં કરમશીભાઈએ માર માર્યો હોવાનો સુખાભાઈ ઉઘવાણીયાએ આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગાયકવાડીમાં રહેતી કોમલબેન લાલાભાઈ છાબરીયા નામની 37 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના અરસામાં પતિ લાલભાઈ છાબરીયાએ દારૂના નશામાં ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાનેં ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
