107 કરોડના ડ્રગ્સ મામલે બે કેમિકલ એન્જિનિયર સહિત 6 શખ્સોની રિમાન્ડ ઉપર પૂછપરછમાં થયો ખુલાસો
કેમિકલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવા વપરાતું રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં છુપાવ્યું હતું
ખંભાત નજીક સોખડા જીઆઇડીસીમાં દવા બનાવતી કેમિકલ ફેક્ટરીમાં એટીએસની ટીમે દરોડો પાડી 107 કરોડનું અલ્ટ્રાઝોલમ( ડ્રગ્સ) સાથે બે કેમિકલ એન્જિનિયર સહીત 6 શખ્સોની ધરપકડ કર્યા બાદ તપાસમાં ધોળકા કનેક્શન ખુલ્યું હોય એટીએસની ટીમે ધોળકા પાસે એક ગોડાઉનમાં દરોડો પાડી ડ્રગ્સ બનાવવા માટેનું 50 કરોડનું ટ્રામાડોલ કબજે કર્યું હતું.
આણંદના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં માદક પદાર્થ અલ્ટ્રાઝોલમ બનાવવામાં આવતું હોવાની બાતમીને આધારે ગુજરાત એ.ટી.એસ.ના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ એટીએસની ટીમે દરોડો પાડતા ફેક્ટરીમાંથી 107 કિલો માદક પદાર્થ અલ્ટ્રાઝોલમ (ડ્રગ્સ)નો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો તથા 2518 કિલો બીજો કેમીકલ પણ એટીએસે કબજે કરી આનંદના ખંભાતના રણજીત ડાભી,વિજય મકવાણા,હેમન્ત પટેલ, લાલજી મકવાણા, જયદીપ મકવાણાની ધરપકડ કરી હતી. પકડાયેલ રણજીત ડાભીની પોતાની સત્યમ ટ્રેડર્સ નામની ટ્રેડીંગ કમ્પની છે તથા વિજય મકવાણા અને હેમત પટેલ કેમીકલની ડીગ્રી ધરાવે છે અને બન્ને અગાઉ ક્રિષાંક ફાર્મા, ખંભાત ખાતે નોકરી કરતા હતા જેમા તેઓ સાથે લાલજી મકવાણા અને જયદીપ મકવાણા પણ કામ કરતા હતા.
પકડાયેલ તમામની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, તેઓ આ ગેરકાયદેસર અલ્ટ્રાઝોલમ બનાવીને અજય જૈન નામના વ્યક્તિને વેચાણ કરતા હતા. આ અજય જૈન અગાઉ પણ ગેરકાયદેસર અલ્ટ્રાઝોલમના કેસમાં પકડાયેલ કે જે ગુનામાં અજય જૈનને 16 વર્ષ કેદની સજા ફટકારવામાં આવેલ હતી.
આ અલ્ટ્રાઝોલમ બનાવવા પેટે અજય જૈને આપેલ રૂૂ. 30 લાખ રોકડ પણ આરોપી રણજીત ડાભી પાસેથી જપ્ત કરવામાં આવેલ છે. ગુજરાત એ.ટી.એસ. ની ટીમ દ્વારા મધ્ય પ્રદેશના ઇન્દોર રહેતા અજય જૈનને પણ પકડી પાડવામાં આવેલ છે. એટીએસે પકડાયેલ તમામની રિમાન્ડ ઉપર પુછપરછ કરતા જાણવા મળ્યું કે ડ્રગ્સ બનાવવા માટે વપરાતું રો-મટીરીયલ ટ્રામાડોલ ધોળકા પાસેના રણજીત ડાભીના ગોડાઉનમાં છુપ્વાયું હોવાની માહિતી મળતા એટીએસની ટીમે ધોળકામાં દરોડો પાડી રણજીત ડાભીના ગોડાઉન માંથી રૂૂ.50 કરોડનો ટ્રામાડોલનો જથ્થો કબજે કર્યો હતો. ગુજરાત એ.ટી.એસ.ની ટીમના એસપી કે. સિધ્ધાર્થના માર્ગદર્શન હેઠળ એ.ટી.એસ.ના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ પી.આઈ પી.બી.દેસાઈ, પી.આઈ એ. એસ.ચાવડા, પી.આઈ વી.બી.પટેલ, પી.આઈ વાય. જી. ગુર્જર, પીએસઆઈ બી.ડી. વાધેલા, એમ.એલ. સોલંકી, કે.બી. સોલંકી, પીએસઆઈ આર.આર. ગરચર, પીએસ આઈ ડી.વી. રાઠોડ સહીતની ટીમે કામગીરી કરી હતી.