ગુજરાત
ડબ્બા ટ્રેડિંગનો રેલો અનેક MSME સુધી, મોટા રેકેટની શંકા
મામૂલી રકમના શેરમાં ડબ્બા ટ્રેડિંગની મદદથી દસ વીસ ગણા ભાવ ઊંચકાવી ઈન્વેસ્ટરોને ખંખેરવાનો ખેલ
બે વર્ષમાં રાજકોટ સહિત ગુજરાતની અનેક ‘પાટિયા’ પેઢીના શેર રોકેટ ગતિએ ઉછળ્યા અને ફરી કાગળિયા થઈ ગયા
રાજકોટ સહિત રાજ્યની અનેક એમ.એસ.એમ.ઈ. સેબીના રડારમાં, ગમે ત્યારે તવાઈ ઉતરવાના ભણકારા
સમગ્ર કૌભાંડનું એ.પી.સેન્ટર અમદાવાદ; રાજકોટ-જામનગર-સુરત-વડોદરા સહિતના શહેરોમાં માયાઝાળ
રાજકોટ સહિત ગુજરાતમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગ ઉપર સેબીની ટુકડીઓએ સતત બે દિવસ સુધી પાડેલા દરોડા દરમિયાન રાજકોટ સહિત ગુજરાતની કેટલીક મિડિયમ-સ્મોલ એન્ડ માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ (ખજખઊ)ના શેરમાં વધ-ઘટ કરી કરોડોના કાળા-ધોળા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આગામી દિવસોમાં ડબ્બા ટ્રેડર્સો મારફત શેરમાં ઉથલ-પાથલ કરનાર એમ.એસ.એમ.ઈ. ઉપર સેબીની તવાઈ ઉતરે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કંપનીઓના શેરના ભાવમાં ઉથલપાથલ કરતાં બે મોટા ઓપરેટરોને ત્યાં સેબીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ, સુરત તથા વડોદરામાં આ ઓપરેટરોની બ્રાંચો ઉપર સેબી દ્વારા દરોડા પાડવામાં આવતાં તેનું પગેરૂ રાજકોટ સુધી પહોંચ્યું હતું અને ગઈકાલે વહેલી સવારે સેબીની એક ટીમ રાજકોટ આવી હતી. રાજકોટમાં પોલીસનો બંદોબસ્ત સાથે રાખી 80 ફુટ રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આવેલી સનફલાવર બ્રોકીંગમાં કામ કરતાં હર્ષ રાવલ નામના શખ્સને કાલાવડ રોડ ખાતે આવેલા ફલેટમાંથી ઉપાડી લીધો હતો અને તેને ત્યાંથી લેપટોપ સહિતની શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી હતી.
આ શખ્સની પુછપરછમાં અને લેપટોપની તપાસ દરમિયાન જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા સલીમ નામના શખ્સના બેંક ખાતામાં મોટી લેવડદેવડ થયાનું ધ્યાનમાં આવતાં સેબીની ટીમ જંગલેશ્ર્વર વિસ્તારમાં સલીમના ઘર ઉપર ત્રાટકી હતી અને સલીમ વિશે પુછપરછ કરતાં સલીમ તેના ઘરે છેલ્લા બે વર્ષથી આવ્યો નહીં હોવાનો જવાબ મળતાં સેબીએ સલીમ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.
બીજી તરફ શહેરના કાલાવડ રોડ પર એ.જી.ચોકમાં ઓફિસ ધરાવતાં એક બ્રોકર પણ આ શેર સટ્ટાની રમતમાં સામેલ હોવાનું ધ્યાન પર આવતાં સેબી દ્વારા તેની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી અને કેટલુક સાહિત્ય કબજે કરવામાં આવેલ છે. સેબી દ્વારા રાજકોટના બે થી ત્રણ શંકાસ્પદ ઓપરેટરોને ત્યાં તપાસ કરી કેટલુંક સાહિત્ય તથા લેપટોપ કબજે કરવામાં આવેલ છે જેના આધારે આગામી દિવસોમાં ડબ્બા ટ્રેડીંગ દ્વારા ‘પાટીયા’ પેઢીઓના મામુલી રકમના શેરના ભાવમાં મોટી ઉથલ પાથલ કરવાનું રેકેટ બહાર આવવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે સેબીએ દરોડા પાડી લેપટોપ સહિતનું જે સાહિત્ય કબજે કરેલ છે તેની તપાસ બાદ રાજકોટ સહિત ગુજરાતની કેટલીક એમ.એસ.એમ.ઈ. સુધી રેલો પહોંચવાની પુરેપુરી શકયતા છે. સુત્રોના કહેવા મુજબ રાજકોટની લગભગ અડધો ડઝન જેટલી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મોટી ઉથલપાથલ જોવા મળી છે. આ તમામ એમ.એસ.એમ.ઈ. ઈન્ડસ્ટ્રીઝ સેબીના રડારમાં આવી ગઈ છે અને આવી કંપનીઓ ઉપર ગમે ત્યારે સેબીની તવાઈ ઉતરે તેવા ભણકારા વાગી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ, શેર સટ્ટાની આ રમતના કૌભાંડનું એપી સેન્ટર અમદાવાદમાં હોવાનું ખુલી રહ્યું છે. અમદાવાદના બે મોટા ગજ્જાના ઓપરેટર પોતાની રાજકોટ, સુરત, વડોદરા અને જામનગર સહિતની બ્રાંચો મારફત ચોક્કસ એમ.એસ.એમ.ઈ. કંપનીના શેરમાં મોટી ઉથલપાથલ કરી મોટી રકમનું કમિશન મેળવી રહ્યાનું બહાર આવ્યું છે.
ચોક્કસ કંપનીઓ માત્ર કાગળ ઉપર ચાલતી હોવા છતાં તેના શેરની કિંમત 10 થી 20 ગણી ઉછાળી કંપનીઓના પ્રમોટરો શેર વેચી મોટી રકમની મલાઈ તારવી લેતાં હોવાનું આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જો કે આટલા લાંબા સમય બાદ સેબીના ધ્યાનમાં આ રેકેટ આવ્યું તે બાબત પણ ઘણા બ્રોકરો શંકાની નજરે જોઈ રહ્યાં છે. જાણકારોનું કહેવું છે કે હાલમાં શેરબજારમાં ચાલી રહેલી તેજીની વહેતી ગંગામાં હાથ ધોવા અનેક કૌભાંડીયાઓ સક્રિય છે. રોકાણકારોની અજ્ઞાતાનો લાભ લઈ ચોક્કસ કંપનીઓમાં રોકાણ કરાવ્યા બાદ પ્રમોટરો ઉંચા ભાવે પોતાના શેર વેચી નાખે ત્યા પછી ફરી શેરની કિંમત ‘કાગળીયા’ જેવી કરી નાખવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે અને આ કૌભાંડમાં અનેક નાના રોકાણકારોના કરોડો રૂપિયા અત્યાર સુધીમાં ડૂબી ગયા છે.
શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલા આ કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તો ગુજરાતની 50 થી 60 જેટલી એમ.એસ.એમ.ઈ. કંપનીઓ સુધી રેલો પહોંચવાની પુરી શકયતા છે. જો કે હાલ સેબી દ્વારા જે બે ઓપરેટરોના નેટવર્ક ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેની અન્ય કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ અંગે સેબી દ્વારા કોઈ ફોડ પાડવામાં આવે છે કે કેમ ? તે તરફ શેર બ્રોકરોની નજર છે.
રૂા.10ની કિંમતના શેર રૂા.650 સુધી પહોંચ્યા
શેર બજારમાં તેજીનો લાભ લઈ ઈન્વેસ્ટરોના ખિસ્સા ખંખેરવાના આ ખેલમાં રાજકોટ સહિત ગુજરાતની કેટલીક ચોક્કસ એમ.એસ.એમ.ઈ.ના શેરના ભાવમાં છેલ્લા બે વર્ષમાં 10 થી 20 ગણી ઉથલપાથલ જોવા મળી છે. અમુક કંપનીઓના રૂા.10ના ભાવના શેર રૂા.650 સુધી પહોંચી ગયા હતાં તો અમુક કંપનીઓના રૂા.10 ના ભાવના શેર રૂા.360 સુધી જોવા મળ્યા હતાં. આવી કંપનીઓના શેરના ભાવમાં થયેલી વધઘટ અંગે તપાસ કરવામાં આવે તો હાલ અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા હોવાનું બહાર આવે તેમ છે. ચોક્કસ એમ.એસ.એમ.ઈ.ના સંચાલકો શેરનો મોટો હિસ્સો પોતાની પાસે રાખી નાના હિસ્સામાં ઓપરેટરો મારફત મોટી રકમની વધઘટ કરાવે છે અને કહેવાતા નિષ્ણાંતો મારફત ટીપ્સ આપી રોકાણકારોને શિશામાં ઉતારે છે. શેરની કિંમત ચોક્કસ ભાવ સુધી પહોંચે ત્યારે સંચાલકો પોતાનો હિસ્સો ઉંચા ભાવે વેચી રોકડી કરી લે છે અને ઈન્વેસ્ટરોને શેર વેચવાનો સમય પણ મળતો નથી જેના કારણે શેરના ભાવ તળીયે જાય ત્યારબાદ ઈન્વેસ્ટરો વેચવા મજબુર થાય છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય12 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો