ચોટીલામાં આવેલા ઘાંચીવાડ વિસ્તારમાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધોકા સહિતનાં હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલામાં આવેલા બસ સ્ટેશન પાસે રહેતો યોગેશ હસમુખભાઈ ચૌહાણ નામનો 24 વર્ષનો યુવાન રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ચોટીલામાં આવેલા ઘાંચીવાડ વિસ્તારમાં હતો ત્યારે રાહુલ ચૌહાણ, રોહિત પુના અને જયદીપ ચૌહાણ નામના શખ્સોએ ઝઘડો કરી ધોકા સહિતના હથિયાર વડે માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત યુવકના કૌટુંબીક ભાઈની દુકાન પાસે તેના નાના ભાઈ લાલા ચૌહાણને હુમલાખોર રાહુલ સાથે ઝઘડો થયો હતો. નાના ભાઈના ઝઘડાના સમાધાન માટે યોગેશ ચૌહાણ ગયો હતો ત્યારે ત્રણેય શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
