જૂનાગઢ તાલુકાના સરગવાડામાં રહેતા ત્રણ મિત્રો આજે વહેલી સવારે બાઇક પર ધોરાજી ઉર્ષમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ઝાલણસર નજીક જીપ ચાલકે હડફેટે લેતા ત્રણેય મિત્રોના મોત થયા હતા. એક સાથે ત્રણ જનાજા નીકળતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે ફરિયાદ થતા તાલુકા પોલીસે અજાણ્યાં બોલેરો ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના સરગવાડામાં રહેતા અરમાન મકસુદભાઈ કાદરી (ઉ.વ. 18), અલ્ફાઝ હનીફભાઈ કાઠી (ઉ.વ. 18) અને આમીર મામદ અબડા (ઉ.વ. 17) નામના મિત્રો ગતરાત્રીના બાઇક પર ધોરાજી ઉર્ષના મેળામાં ગયા હતા. આજે વહેલી સવારે ત્રણેય મિત્રો બાઇક પર પરત સરગવાડા આવી રહ્યા હતા ત્યારે તેઓ ઝાલણસર ગામ નજીક પહોંચ્યા ત્યારે જૂનાગઢથી ધોરાજી તરફ જતા અજાણ્યાં બોલેરો ચાલકે બાઇકને હડફેટે લેતા ત્રણેય મિત્રો ફંગોળાઇ ગયા હતા. ત્રણેયને માથા, હાથ, પગ સહિતના ભાગો પર ગંભીર ઇજા થઇ હતી. ત્યાંથી પસાર થયેલા વાહનચાલકોએ ઉભા રહી 108ને જાણ કરતા ત્રણેય ઈજાગ્રસ્ત મિત્રોને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બે યુવાન અને એક તરૂૂણ કઈ બોલી શકતા ન હતા. ફરજ પરના તબીબે ત્રણેયને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અંગે જાણ થતાં ત્રણેય મિત્રોના પરિવારજનો અને સગા સબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા આ ઘટનાથી આક્રંદ છવાયો હતો. આજે એક સાથે ત્રણ જનાજા નીકળતા સરગવાડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગે મૃતક આમીરના પિતા મામદભાઈ અલ્લારખાભાઈ અબડાએ ફરિયાદ કરતા તાલુકા પોલીસે અજાણ્યાં બોલેરો ચાલક સામે ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી કેમરાની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
વહેલી સવારે બાઇકને હડફેટે લીધા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ત્રણેય મિત્રો ત્યાં પડયા હતા છતાં તેને સારવાર મળી રહે તે માટે 108ને કે ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવાના બદલે નિર્દયી જીપ ચાલક નાસી ગયો હતો. વહેલી સવારે આ સ્થળેથી પસાર થયેલા વાહનચાલકોએ સારવારમાં ખસેડયા હતા તેના પરિવારને જાણ કરી હતી.
