રાજકોટમાં ગત વર્ષે મે મહિનામાં ટીઆરપી અગ્નિકાંડમાં 27 નિર્દોષોના ભોગ લેવાયા બાદ શહેરમાં આગની ઘટનાઓને રોકવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા ઓદ્યોગિક અને બહુમાળી ઈમારતમાં ફરજીયાત ફાયર સાધનો અને એઓસી કરવામાં આવ્યા બાદ પણ આગના છમકલાઓ અવિરતપણે ચાલુ રહ્યા છે. તાજેતરમાં જ મેટોડામાં નમકીનના કારખામાં આગ ભભૂકયાની સાહી સુકાઈ નથી ત્યાં આજે વાવડીમાં એક કારખાનામાં દાવાનળ ફાટી નીકળતા ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેય શ્રમિકોને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ વાવડી ઈન્ડસ્ટ્રીયલ સત્યનારાયણ વે બિજ પાછળ આવેલા ઝા એન્ટરપ્રાઈઝ સ્કેપના કારખાનામાં સમી સાંજે પ્રેસ મશીનરીમાં આગ ભભુકતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવ અંગેની કારખાનાના માલિક ચંદુભાઈ બિજયભાઈ ઝાએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટરો દોડી જઈ સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. અને આગમાં કારખાનામાં કામ કરતા ઉદયરાજ પ્યારેભાઈ યાદવ (ઉ.વ.45)અને મગરે ભગવાનદાસ યાદવ (ઉ.વ.30) સહિત ત્રણ શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તાકિદે સારવાર અર્થે સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે અન્ય એક શ્રમિકને ખાનગી હોસ્પિલમાં ખસેડયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ કયાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
