ભરૂૂચ જિલ્લામાં આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં માનવ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા રૂા. 7.30 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના નેતા અને જુનાગઢ લોકસભાના પૂર્વ ઉમેદવાર હીરા જોટવા તથા તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 જણાની ધરપકડ બાદ ધરપકડ રદ કરવા માટેની તેમની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વેરાવળની બે એજન્સીઓના નામે પિતા-પુત્રે મનરેગા કામમાં 60-40 રેશિયોનું ઉલ્લંઘન કરીને તેમજ કેટલાક કામ વિના જ ફક્ત બિલો બનાવી રૂૂપિયા ઓળવ્યા હતા.પોલીસે કૌભાંડમાં ફરિયાદ નોંધીને હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ટેક્નીશિયન રાજેશ ટેલરની પહેલી ધરપકડ કરી હતી.
જે બાદમાં દિગ્વિજય જોટવા, મુરલીધર, પિયુષ નુકાની, જોધા સભાડ અને સરમન સોલંકીની ધરપકડ થઈ હતી. રિમાન્ડ પૂરા થતા તમામને ભરૂૂચ સબજેલમાં મોકલાયા છે. ગત 10મી જુલાઈએ હીરા જોટવા અને દિગ્વિજયે જામીન માટે અરજી કરી હતી. આજે 16 જુલાઈના રોજ ચુકાદો આપતા કોર્ટે તેમની અરજી ફગાવી હતી. પોલીસે કૌભાંડમાં હજુ વધુ લોકોની સંડોવણીના સંકેત આપ્યા છે. TDO સહિતના અધિકારીઓના નિવેદન લેવાઈ રહ્યાં છે અને 8 લોકોના 164 મુજબના કોર્ટ નિવેદનો નોંધાયા છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસ તપાસમાં વ્યસ્ત છે.
