12 લાખની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરાયું
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામમાં સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ આજે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે દૂર કરવામાં આવ્યું છે.ખરેડા ગામના સર્વે નંબર 611 પૈકીની અંદાજે 600 ચોરસ મીટર જમીન પર થયેલું દબાણ હટાવી, અંદાજિત 12 લાખ રૂૂપિયાની સરકારી મિલકત ખુલ્લી કરવામાં આવી છે.
ખરેડા ગામના સર્વે નંબર 611 પૈકીની સરકારી જમીન પર દબાણકર્તા માનસૂરભાઈ લાધાભાઈ ગોહિલ દ્વારા ગેરકાયદેસર રીતે હોટલ બનાવી વાણિજ્યક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આ બાબતે તંત્ર દ્વારા અવારનવાર નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં, દબાણકર્તા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા અંતે મામલતદાર દ્વારા કડક વલણ અપનાવી આ જમીન ખુલ્લી કરાવવાનો નિર્ણય લેવાયો હતો.
આ ઓપરેશનમાં કોટડાસાંગાણી મામલતદાર મેહુલકુમાર રાવલ, નાયબ મામલતદાર હિતેન્દ્રસિંહ ચુડાસમા, સર્કલ ઓફિસર સંજયભાઈ રૈયાણી, તલાટી અમિતભાઈ બાવળીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પીજીવીસીએલ (ઙૠટઈક) ના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા જે જમીન પર બુલડોઝર ફેરવીને દબાણ તોડી પાડવામાં આવ્યું છે, તે જમીન હવે સંપૂર્ણપણે સરકાર હસ્તક કરી લેવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકના ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
