ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારમાં આપ-ભાજપની જુગલબંધીનો આક્ષેપ કરતાં ધારાસભ્ય દર્શના દેશમુખ બગડયા
આક્ષેપો સાબિત કરવા પડકાર નહિંતર માનહાનીનો દાવો કરવાની ચીમકી, ધરણાં ઉપર બેસવા જતાં ધારાસભ્યને પ્રદેશમાંથી અટકાવાયા
આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લામાં ભાજપના બડબોલા સાંસદ મનસુખ વસાવા અને ભાજપના જ ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ વચ્ચે જુબાની જંગ શરૂ થઈ છે.
ભરુચના સિનિયર સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ, નાંદોદના ભાજપના જ ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખે મૌન તોડીને સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યો છે. મનસુખ વસાવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં ડો. દર્શનાબહેન દેશમુખે સાંસદને કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા માનહાનિના દાવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
સાંસદ મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે ભ્રષ્ટાચાર કરનાર કોઈ પણ નેતાનું નામ જાહેર કર્યું ન હતું. પરંતુ દર્શનાબહેનનો દાવો છે કે મનસુખ વસાવાએ આડકતરી રીતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના એટલે કે ડો. દર્શનાબહેન દેશમુખની આમ આદમી પાર્ટી(અઅઙ)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે.
દર્શનાબહેને જણાવ્યું હતું કે, “મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી અને ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે, પણ હું તેમને કહેવા માગું છું કે તેમને તો ચૈતર વસાવા સાથે ઘરના સંબંધ છે, મારે તો નાહવા-નિચોવાને કોઈ સંબંધ નથી.” “ભ્રષ્ટાચારની વાત છે, તો મનસુખ વસાવા તે સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું હશે, તો હું ચોક્કસ જઈશ.” ધરણાં રદ કરવાની વાત અંગે ડો. દર્શનાબહેને જણાવ્યું કે તેઓ મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાના હતા, પરંતુ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતાં તેમણે આ કાર્યક્રમ રદ કર્યો છે.ડો. દર્શનાબહેન દેશમુખે સિનિયર સાંસદ તરીકે મનસુખ વસાવાના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સાંસદ તેમને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી અને તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી જ મનસુખ વસાવા તેમના પર આક્ષેપ કરતા આવ્યા છે. “હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી-વિલાસ ના કરવો જોઈએ. મારી પાસે પણ આવા નનામા પત્રો આવે છે, પણ અમે એને કચરામાં નાખી દઈએ છીએ, એના પર કોઈ ટિપ્પણી કરતાં નથી.”
ડો. દર્શનાબહેને જણાવ્યું કે તેમણે આ સમગ્ર મામલે પ્રદેશ સ્તરે રજૂઆત કરી છે અને હવે તેઓ મૌન નહીં રહે. “કેટલાય સમયથી મૌન હતી, પણ આવા વાણી-વિલાસને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે. હવે જો મનસુખ વસાવા કઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે.”
અગાઉ ચૈતર વસાવાએ પણ આપ્યો હતો જવાબ
મનસુખ વસાવાના 7 ડિસેમ્બરના આક્ષેપો બાદ માત્ર ડો. દર્શનાબહેન જ નહીં, પરંતુ AAOના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સાંસદને વળતો જવાબ આપીને નામ અને પુરાવા જાહેર કરવાની માંગણી કરી હતી. નર્મદા જિલ્લાના આ બે મોટા નેતાઓ વચ્ચેના ખુલ્લેઆમ ચાલી રહેલા આ વિવાદથી ભાજપમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે.
