સ્કૂલના કામ અર્થે ક્રાંકચ ગયા હતા, ત્યાથી પરત ફરતા હતા, આચાર્યએ પથ્થર પકડી લેતા બચાવ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ક્રાંકચ-ભોરીંગડા રોડ પર બપોરના સમયે પૂરના ધસમસતા પાણીમાં મોટરસાયકલ તણાઈ જતાં ભોરીંગડા ગામની નાલંદા વિદ્યાલયના 40 વર્ષીય શિક્ષક જગદીશભાઈ કનુભાઈ રંગપરાનું કરુણ મોત નીપજ્યું હતું. આ દુ:ખદ અકસ્માતને પગલે શૈક્ષણિક જગત અને સમગ્ર પંથકમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક શિક્ષક જગદીશભાઈ શાળાના આચાર્ય હસમુખભાઈ ખેરાલા સાથે સ્કૂલના કામ અર્થે ક્રાંકચ ગામે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ખોડિયાર માતાજીના મંદિર પાસે બાવળા ડુંગર પરથી આવેલા પૂરના પાણી રોડ પર ફરી વળ્યા હતા. આ પાણીના જોરદાર પ્રવાહમાં તેમની બાઈક તણાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં આચાર્ય હસમુખભાઈએ સમયસૂચકતા વાપરી રોડ નજીકનો પથ્થર મજબૂતાઈથી પકડી લેતા તેમનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમણે પોતાના સાથી કર્મચારીને આંખની સામે તણાતા જોયા હતા.
ઘટનાની જાણ થતાં જ લીલીયા મામલતદાર કચેરીનો સ્ટાફ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પૂરના પાણીમાંથી શિક્ષકનો મૃતદેહ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (ઈઇંઈ) ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
