શહેરમાં આવેલા ભવાનીનગર વિસ્તારમાં રહેતા અને ધો.11 ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે.
ભવાનીનગર વિસ્તારમાં રહેતા પાર્થ હરિભાઈ સાગઠીયા નામનો 21 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પાર્થ સાગઠીયા ત્રણ ભાઈમાં વચેટ હતો અને ધો.11 ની પરીક્ષાની તૈયારી કરતો હતો પાર્થ સાગઠીયાનું બીમારી સબબ મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં શહેરના રૈયા રોડ ચોકડીથી નાણાવટી ચોક તરફના રસ્તે વહેલી સવારે સાડા ચારેક વાગ્યે એક અજાણ્યા પ્રોઢની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં વૃધ્ધ ચાલીને જતાં હતાં ત્યારે એકાએક પડી જતાં નાક ઉપર સ્હેજ ઇજા થઇ હતી. હાર્ટએટેક આવી ગયાની શક્યતા છે. મૃતક પાસેથી તેમની ઓળખ થાય તેવું કંઇ મળ્યું નથી. ખિસ્સામાંથી સાબુની ગોટી મળી હતી. પોલીસે નજીકના જાહેર શૌચાલયે કદાચ તેઓ ન્હાવા ગયા હશે તેમ સમજી તપાસ કરી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
