અમરેલી જિલ્લામાં હવે સિંહ, દિપડા, શ્વાનોના હુમલાઓ બાદ ઝેરી મધમાખીનો આંતક વધ્યો છે. લાઠીના ઝરખીયા ગામે 6 વ્યક્તિઓ પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો. મધમાખીના ડંખથી ઘાયલ તમામ લોકોને સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાઓની ઘટનાની સાથે સાથે શ્વાનોના અને ઝેરી મધમાખીના હુમલાની ઘટનાઓ બની રહી છે. ત્યારે લાઠીના ઝરખીયા ગામે ગામના પાદરમાં ઝેરી મધમાખીના ટોળાએ 6 લોકો પર હુમલો કર્યો હતો. મધમાખીના હુમલાથી ડઘાઈ ગયેલા ઇજાગ્રસ્તોએ રાડારાડ કરી મૂકી હતીને બચવાના ઘણા પ્રયત્નો કરવા છતાં મધમાખીઓએ દંશ દેતા ઘાયલ અવસ્થામાં ઇજાગ્રસ્તોને લાઠી સિવીલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
અશોકભાઈ દયારામભાઈ દેવમુરારી અને હરિભાઈ અરજણભાઇ ભરવાડને લાઠીમાં સારવારમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે તુલસીભાઈ દેવમોરારીને અમરેલી સિવીલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાર ઝેરી મધમાખી અચાનક આવીને હુમલો કરતા નાના એવા ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
