અમરેલી ભાજપના નેતા ડો ભરત કાનાબારે મોદીજીને ટેગ કરી ટ્વીટ કર્યું હતું. પાલિકાઓ, મ્યુ. કોર્પોરેશનો અને પંચાયતોના ઉમેદવારોની પસંદગી માટે દરેક રાજકીય પક્ષ ઝાઝી કસરત કરે છે. ઉમેદવારની જ્ઞાતિ અને ગમે તેમ કરીને ચૂંટણી જીતી શકવાની તેની આવડત – આ બે મુખ્ય બાબત જ મહદ અંશે લક્ષમાં લેવામાં આવે છે.
ઉમેદવારની પાર્ટીમાં સિનિયોરીટી, સક્રિયતા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા – આ બધી બાબતોનો કોઈ ભોજિયો ભાઈ પણ ભાવ પૂછતું નથી!ચૂંટાયા પછી લાંબા વ્યાયામ બાદ પસંદ કરાયેલા આ ઉમેદવારોના વ્યવહાર અને કામગીરી પર પક્ષનું કોઈ મોનીટરીંગ રહેતું નથી.
આવી વ્યવસ્થા કે મિકેનિઝમ કોઈ પાર્ટી ઉભી કરી શકતી નથી અને પછી ચુંટાયેલા લોકો ગમે તેવો વહીવટ કરે તેને કોઈ પૂછનાર હોતું નથી.જયારે રાજકીય પક્ષો ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની બાબતોને નજરઅંદાજ કરતી હોય ત્યારે મતદારો પોતાનો નાગરિક ધર્મ બજાવે અને ભ્રષ્ટ લોકોને ( પછી તે ગમે તે પક્ષના હોય ) ઘરભેગા કરશે તો જ પ્રજાના પરસેવાની કમાણીમાંથી આવતા ટેક્સમાંથી વિકાસ માટે ખર્ચાતા કરોડો રૂૂપિયાનું જે તે વિસ્તારને યોગ્ય વળતર મળશે. ફરી ભાજપના નેતા ભરત કાનાબારે ભ્રષ્ટાચાર મુદ્દે ટકોરભર્યું ટ્વીટ કર્યું હતું.
