ગુજરાત
લોકમેળામાં રાઈડ્સ SOP મુજબ ચાલશે, રાઘવજીના હસ્તે ઉદ્ઘાટન
કમિટી દ્વારા નિરીક્ષણ કર્યા બાદ જ પ્રમાણપત્ર અપાશે, ભીડ કાબૂમાં રાખવા રાત્રે 11.30 પછી એન્ટ્રી બંધ, SDRF અને NDRFની ટીમો માગતાં કલેક્ટર, 125 કર્મચારીઓને સોપાઈ ડ્યૂટી
રાજકોટમાં આગામી શનિવારથી શરૂ થનાર પાંચ દિવસના જન્માષ્ટમીના લોકમેળાનો માહોલ હજુ સુધી બંધાતો નથી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળામાં ઉભી કરવામાં આવી રહેલ રાઈડઝના મુદ્દે હજુ પણ ધંધાર્થીઓ અને તંત્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રાઈડસના ધંધાર્થીઓએ ફાઉન્ડેશન ભર્યા વગર અમુક રાઈટસ ઉભી કરી દીધાની ફરિયાદો બાદ જિલ્લા કલેકટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે એસઓપી મુંજબ જ રાઈટસ ઉભી કરવી ફરજિયાત છે. આજે ટેકનીકલ કમીટી દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. જો કોઈ નિયમ વિરૂધ્ધ જણાશે તો તેવી રાઈડસને મંજુરી આપવામાં આવશે નહીં.
બીજી તરફ લોકમેળામાં અવ્યવસ્થા ન ફેલાય તે માટે અત્યારથી જ કલેકટર તંત્ર દ્વારા અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટરના કહેવા મુજબ ભીડ ઓછી થાય તે માટે રાત્રે 11.30 વાગ્યા બાદ લોકમેળામાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ઈમરજન્સી જરૂરીયાત માટે એસબીઆરએફ અને એનડીઆરએફની એક એક ટીમ માંગવામાં આવી છે. રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી એજન્સીની ટુકડીઓ માંગવામાં આવી છે. લોકમેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. પરંતુ અંતે રાજકોટનાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ શનિવારે સાંજે 4.30 કલાકે લોકમેળાનું ઉદઘાટન કરશે તેવું ફાઈનલ થયું છે. લોકમેળામાં પાંચ દિવસ કામગીરી માટે કલેકટર તંત્રનાં 124 કર્મચારીઓને ડયુટી ફાળવવામાં આવી છે.
લોકમેળામાં કુલ 140 જેટલા રમકડાંના અને ખાણીપીણીના 32, આઈસ્ક્રીમના 16 ઉપરાંત નાની ચકરડીના 15 તથા મોટી રાઈડસના 31 પ્લોટ સહિત કુલ 235 સ્ટોલ અને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. સાથોસાથ લોકમેળામાં ઈમરજન્સી જરૂરીયાત માટે પાંચ એમ્બ્યુલન્સ તથા પાંચ ફાયર ફાઈટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવનાર છે. લોકમેળાનો રૂપિયા 10 કરોડનો વિમો પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
ઈશ્ર્વરિયા પાર્ક રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, બોટિંગ બંધ
જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખી માધાપર પાસે આવેલ ઈશ્ર્વરીયા પાર્ક રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન સહેલાણીઓની ભીડને ધ્યાને લઈ ઈશ્ર્વરીયા પાર્ક ખાતે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે. જો કે ગેમઝોન અગ્નિકાંડ બાદ બંધ કરાયેલી બોટીંગ સુવિધા હજુ ચાલુ કરવામાં આવી નથી અને જન્માષ્ટમીના તહેવારોમાં પણ આ સુવિધા બંધ રહેશે.
લોકમેળો વિના વિઘ્ને પાર પડે તે માટે યજ્ઞ કરાવતા ડેપ્યુટી કલેક્ટર
ડે.કલેક્ટરની ઓફિસમાં કરાયો યજ્ઞ : કર્મચારીઓ જોડાયા
રાજકોટમાં યોજાનાર લોકમેળામાં કોઈ વિઘ્ન ન આવે તેવી શ્રધ્ધા વ્યકત કરવા ડેપ્યુટી કલેકટર દ્વારા તેઓની ઓફિસમાં ભુદેવો દ્વારા યજ્ઞ કરાવાયો હતો. શનિવારથી પાંચ દિવસ યોજાનાર ધરોહર લોકમેળા રાઈડઝ સંબંધી નાના મોટા અવરોધો બહાર આવ્યા બાદ મેળાના સચાંલકો મુંજાઈ ગયા છે. જો કે હવે ધામધુમથી મેળો ઉજવાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી શ્રધ્ધા અને ભાવનાને ધર્મ પરાપણતામાં બદલવા લોકમેળાનું સંચાલન કરતા પ્રાંત-1ના ડેપ્યુટી કલેકટર ડો.ચાંદનીબેન પરમારે પોતાની ઓફિસમાં યજ્ઞ યોજ્યો હતો. જેમાં તમામ કર્મચારીઓ આસ્થાભેર જોડાયા હતાં.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું