માળિયાહાટીના તાલુકાના ભંડૂરી-ગડુ વચ્ચે ખુંટીયો આડે ઉતરતા ઓટો રિક્ષા પલ્ટી મારી જતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું અને 1 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગીર સોમનાથના આજોઠા ગામના શામળદાસ વલ્લભદાસ ગોંડલીયા અને તેમનો 6 લોકોનો પરિવાર કેશોદ તાલુકાના રાણિંગપરા ગામે તેમની દીકરીને મુકવા પોતાની ઓટો રિક્ષામાં આવી રહ્યો હતો ત્યારે માળિયા હાટીના પંથકના ભંડૂરી-ગડુ વચ્ચે નેશનલ હાઇવે પર ધણખૂટ રોડ વચ્ચે ઉતરતાં ઓટો રિક્ષાએ પલ્ટી મારી ગઈ હતી.
અકસ્માતથી રિક્ષા ચાલક શામળદાસ ગોંડલિયા, પવન કૌશિકભાઈ ગોંડલિયા ઉ. વ. 5 સહિતનાને ઇજા થતાં સારવાર માટે ખાનગી વાહન મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયાં હતા. જ્યાં ફરજ પરના ડોકટરે બાળકનું મોત થયાનું જાહેર કર્યું હતું. 5 વર્ષના બાળકના અકાળે મોતથી પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. અકસ્માતના બનાવ અંગે માળિયાહાટીના પોલીસે પોસ્ટ મોર્ટમ સહિત કાર્યવાહી સાથે ઘટનાની આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.
