સબ સલામતની આલબેલ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ IOCના અધિકારીઓ સાથે બેઠક યોજી, સમાન ધોરણે સપ્લાય આપવા માગણી
મિડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે ગેસ અને ક્રુડની સપ્લાઇને અસર થતા અને ક્રુડના ભાવો આસમાને પહોંચતા રાજકોટ સહીત સૌરાષટ્રમાં પેટ્રોલ- ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો મુકાતા અમુક પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ- ડીઝલનું વેચાણ બંધ થઇ ગયું છે. બીજી તરફ અન્ય પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ- ડીઝલ ભરાવવા વાહન ચાલકોએ લાઇનો લગાવી દીધી છે. આવી સ્થિતિ વચ્ચે આજે પેટ્રોલ પંપ સંચાલકોએ આઇઓસીના અધિકારીઓ સાથે બેઠક યોજી પેટ્રોલ- ડીઝલની વહેચણી સમાન ધોરણે કરવા રજુઆત કરી હતી.
રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રેગ્યુલર પૂરો પાડવા માટે પેટ્રોલ – ડીઝલ ડીલર એસોસિએશન દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1000 થી વધુ પેટ્રોલ પંપના પ્રતિનિધિઓએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટેની માંગ કરવામાં આવી હતી. આ વચ્ચે રાજકોટ શહેરમાં IOC ના 7 પંપ તેમજ નાયરા અને રિલાયન્સના પંપ બંધ હોવાનું જાહેર થયુ છે. રજાઓને કારણે સપ્લાય ચેનમાં થોડી સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું છે જોકે એક અઠવાડિયામાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે તેવી ખાતરી મળતા એસોસિએશનના પ્રતિનિધિઓએ લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવાની અપીલ કરી છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર – કચ્છમાં IOC સાથે સંકળાયેલા 1000 થી વધુ પેટ્રોલ પંપ છે. જ્યાંથી પેટ્રોલ અને ડીઝલનો રેગ્યુલર જથ્થો મળતો નથી. જે મામલે એસોસિએશન દ્વારા આઈ.ઓ.સી. અધિકારીઓને રેગ્યુલર જથ્થો મળતો રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે હાલ કોઈ પણ પ્રકારની અછત નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત બાદ તેમણે જણાવ્યુ હતુ કે, IOC દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં એક સાથે એક ડીલર 20000 લિટર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ન ઉપાડી શકે તો બે ડીલર જથ્થો ઉપાડી શકશે. જોકે સપ્લાય મળતી રહેશે જેથી કોઈને પણ તકલીફ પડવા નહીં દે તેવી ખાતરી આપવામાં આવી છે. અગાઉ જેમ બ્લોકેજ હતા તે દૂર કરવામાં આવ્યા છે હવે કોઈ બ્લોકેજ નથી.
ડીલરો પોતાની જરૂૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે. જે કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તે રજાને કારણે થયું છે અને આગામી આઠ દિવસમાં તે ક્લિયર થઈ જશે. આ સાથે જ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરું પાડવામાં 57%નો હિસ્સો IOC નો છે. રાજકોટ શહેરમાં IOC ના 7 જેટલા પેટ્રોલ પંપ બંધ છે જ્યારે અન્ય શહેરમાં 2 જેટલા પેટ્રોલ પંપ બંધ છે. પેટ્રોલમાં હાલ કોઈ તકલીફ નથી ડીઝલની વાત કરવામાં આવે તો નાયરા ના વધારે પેટ્રોલ પંપ બંધ છે અને રિલાયન્સના પણ અમુક પંપ બંધ છે. જે લોકો ડાયરેક્ટ કંપની પાસેથી જથ્થો લેતા હતા તેમાં રૂૂ.22 નો વધારો કરવામાં આવેલો છે જેની અસભ રિટેલ આઉટલેટ પર પડ્યો છે.
પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતો અફવાઓથી દૂર રહો: કલેકટર
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા અહેવાલો બાબતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે નાગરિકોને ખાતરી આપતા જણાવ્યું કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, “રાજકોટ જિલ્લામાં 264 અને શહેર વિસ્તારમાં 97 મળીને કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે. જેમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ- ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. તેલ કંપનીઓ દ્વારા પણ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડવામાં આવી રહ્યો છે.નાગરિકોએ ગભરાટમાં આવીને પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂૂર નથી. આ સાથે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી માહિતી કે અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા કલેક્ટરે અપીલ કરી છે.
