જામનગર જિલ્લા પંચાયતની ગઈ કાલે સોમવારે તા.24મી માર્ચે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વન નેશન-વન ઈલેક્શનની સરકારની પોલીસી સાથે સંસદમાં રજુ થયેલા બીલને સમર્થન આપીને રાષ્ટ્રપતિ તરફ મોકલવા પ્રમુખ પદેથી થયેલી દરખાસ્તને સભામાં ઉપસ્થિત 18 સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગળસરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ માં મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના 24 સભ્યોમાંથી ભાજપાના 14 અને કોંગ્રેસના 4 મળીને 18 સભ્યો તેમજ ડીડીઓ વિકલ્પ ભારદ્રાજ, ડે. ડીડીઓ દીપાબેન કોટક તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગત બજેટ બેઠકની મીનીટસને બહાલી આપવામાં આવ્યા બાદ કારોબારી સમિતિએ કરેલા વન નેશન-વન ઈલેક્શનના ઠરાવને બહાલી આપીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ મોકલવા અધ્યક્ષસ્થાનેથી દરખાસ્ત મુકવામાં આવી હતી.
જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. કોંગ્રેસના સભ્યોએ પણ દરખાસ્તનો વિરોધ નહીં કરતાં દરખાસ્ત સર્વાનુમતે મંજૂર થઈ હતી.
