નોરતા સુધી મંદી ને મોંઘવારી, ચોમાસામાં અતિવૃષ્ટિ ને વાવાઝોડું

અનાજ-કઠોળનો બમ્પર પાક ઉતરશે, હોળીની જ્વાળાઓ અને ગ્રહણના આધારે જયોતિષીઓનો વરતારો વર્ષ 2026 માટે હોળીની ઝાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની…

અનાજ-કઠોળનો બમ્પર પાક ઉતરશે, હોળીની જ્વાળાઓ અને ગ્રહણના આધારે જયોતિષીઓનો વરતારો

વર્ષ 2026 માટે હોળીની ઝાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્ત્વનો વરતારો રજૂ કર્યો છે, જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વંથલીના રમણિકભાઈ વામજા અને જ્યોતિષાચાર્ય ડો. દિલીપ દવેના મતે, આ વર્ષે હોળીની જ્વાળાઓ આકાશ અને ઈશાન ખૂણા તરફ જતાં સાર્વત્રિક વરસાદ અને સુખ-સમૃદ્ધિના સંકેત મળી રહ્યા છે, જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 ઇંચ સુધીનો ભારે વરસાદ અને વાવાઝોડાનું જોખમ પણ રહેલું છે.
એક તરફ અનાજ-કઠોળનો બમ્પર પાક થવાની શક્યતા છે, તો બીજી તરફ હોળીના ધુમાડા અને ખગોળીય ગ્રહ દશાઓને જોતા દેશમાં ભયંકર મોંઘવારી, આર્થિક તંગી અને રાજકીય ઉથલ-પાથલના ભણકારા પણ વાગી રહ્યા છે. ઓગસ્ટમાં આવનારા ગ્રહણોને કારણે વેપારીઓ માટે કપરો સમય અને નવરાત્રી સુધી બજારમાં મંદીનો માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

વંથલીના આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી પવન અને ખાંડાવાળા પવનો સાથે અતિભારે ભેજ આવવાને કારણે વર્ષ 2026 ઘણું સારું રહેશે. તેમના મતે આ વર્ષે અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. હોળીના પવનની દિશા જોતા દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે વેરાવળ, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ વિસ્તારોમાં 55થી 60 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.

નક્ષત્રો અને ગરમીની અસર વિશે રમણિકભાઈએ જણાવ્યું હતું કે, અખાત્રીજ અને હુતાસણીના પવનને જોતા આ વર્ષે અતિશય ગરમી પડશે. રોહિણી નક્ષત્રમાં અસહ્ય ગરમીનો અનુભવ થશે. જ્યારે ભાદરવા સુદ છઠના દિવસે અનુરાધા નક્ષત્ર બેસે છે, જે વર્ષ માટે શુભ સંકેત છે. ભાદરવા વદમાં હાથિયા નક્ષત્ર બેસે ત્યારે પાછતરો વરસાદ ગાજવીજ સાથે થશે, જેનાથી પાકને નુકસાન થવાની પણ ભીતિ છે.

ખેડૂતો અને વેપારીઓ માટે સ્થિતિ વિશે વાત કરતા કહ્યું, આ વર્ષ ખેડૂતો માટે એકંદરે સારું રહેશે, પરંતુ વેપારીઓ માટે કપરો સમય હોઈ શકે છે. વર્ષ દરમિયાન બે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવતા હોવાથી વેપારમાં ભયંકર મંદી આવવાની શક્યતા છે. આ મંદી છેક નોરતા (નવરાત્રી) સુધી ચાલશે તેવું તેમનું પૂર્વાનુમાન છે
જ્યોતિષાચાર્ય ડો.દિલીપ દવેએ જણાવ્યું હતું કે, હોળી પ્રગટાવવાથી જે જ્વાળા જે દિશામાં જાય છે એના આધારે વરસાદનો વરતારો અથવા ભવિષ્યવાણી કરવાની આપણે ત્યાં જૂની પરંપરા છે.

આ વખતે જે જ્વાળાઓ ગઈ છે એ મોટાભાગની આકાશ તરફ જ્વાળાઓ ગઈ છે જે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે, રાષ્ટ્રમાં સુખ વધશે, શાંતિ વધશે, સાર્વત્રિક વરસાદ થશે, અનાજ પણ સારું થશે, કઠોળ પણ સારું થશે અને પશુપાલન માટે ઘાસ પણ સારું થશે, લોકોની સમૃદ્ધિ વધશે, સુખાકારી વધશે એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

ઘણી વખત જ્વાળાઓ દક્ષિણમાં પણ જતી હોય ત્યારે રોગચાળાનો ભય રહેતો હોય, લોકોના આરોગ્ય બગડતા હોય, નવા નવા રોગો ઉદભવતા હોય એવું પણ બને, પણ આ વખતે જ્વાળાઓ જે છે એ ઉપરની તરફ અને થોડા ઇશાન તરફ ગઈ છે જેના કારણે એવું કહી શકાય થોડા પ્રાંતમાં ખંડ વરસાદ થઈ શકે, ઉપરાંત ઠંડીનું જોર વધી શકે. ઇશાનમાં જવાનો બીજો અર્થ એવો પણ છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાય અને અતિવૃષ્ટિ થાય અથવા પવન સાથે વરસાદ આવે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, દક્ષિણ ભારતના રાજ્યોમાં તોફાન આવી શકે છે ઉપરાંત મોટા વાવાઝોડા આવી શકે છે, વધારે વરસાદ થાય, ખંડવૃષ્ટિ થાય એવી સંભાવનાઓ જણાઈ રહી છે.

ભાવનગરનાં જ્યોતિષ વિશારદ અને ખગોળ વિદ પ્રદિપ મહેતાના અભ્યાસ મુજબ, વર્તમાન સમયે ગોચર મંડળમાં સાત ગ્રહોની યુતિ સાથે ચંદ્રગ્રહણની ઘટના વૈશ્વિક સ્તરે સતત ઉથલપાથલનું સ્પષ્ટ સૂચન કરે છે. માનવ સર્જિત અને કુદરત સર્જિત આફતો એક બાદ એક આવશે અને વાતાવરણ અસ્થિર બનશે, પશ્ચિમી દેશોએ આજસુધી ન જોયેલું કુદરતનું રૌદ્ર સ્વરૂૂપ નજરે નિહાળશે.

વરસાદના વરતારાની પ્રાચીન પદ્ધતિઓ
પ્રાચીન ભારતમાં વર્ષાઋતુના વરસાદની આગાહી અંગે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત હતી અને તે આજે પણ પ્રચલિત છે. જેમાં રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વર્ષાઋતુ સમયે વાહન, ચોક્કસ તિથીઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્તશલાકા ચક્ર, સપ્તનાડી ચક્ર, ભડલીના વાક્યો, અખાત્રીજના પવનની દિશા, હોળીના જ્વાળાની દિશા, નાના નાના જીવ જંતુઓની હરકતો, વગેરે પરથી આગામી ચોમાસામાં વરસાદનો વરતારો કાઢવાની પરંપરા આપણે ત્યાં છે અને ખેડૂતોને આજે પણ તેમાં વિશ્વાસ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *