જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરના વોર્ડ નંબર-2 માં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક ઉથલપાથલ સામે આવી રહી છે.
માહિતી મુજબ, આમ આદમી પાર્ટીએ પ્રારંભમાં ચેતનપતી જયદીપસિંહ ઝાલાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું હતું. જોકે, તેમની સામે પોલીસ કેસ નોંધાવાતાં તરેહ તરેહ ની ચર્ચા જાગી છે. ઉપરાંત આપ પાર્ટીએ આ વોર્ડ માં બીજા ઉમેદવાર તરીકે જત મલેક હનીફભાઈને જાહેર કર્યા હતા, જે શહેરમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે પણ સક્રિય હતા.
પરંતુ હાલ મળતી માહિતી મુજબ જત મલેક હનીફભાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજકીય વર્તુળોમાં હવે એવી ચર્ચા તેજ બની રહી છે, કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે અને આવનારી ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતરી શકે છે.આ સમગ્ર ઘટનાક્રમને કારણે વોર્ડ નંબર-2 માં રાજકીય સમીકરણો બદલાવાની પૂરી શક્યતા છે, અને ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
