મહાદેવના દર્શન કર્યા બાદ 200 અશ્વો સાથે શૌર્ય યાત્રા કાઢશે, રાજકોટનો રોડ શો રદ કરી સોમનાથમાં 20 મિનિટની યાત્રાનો કાર્યક્રમ ઉમેરાયો
રાજકોટમાં 11મીએ અઢી કલાકનુ રોકાણ, સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત બાદ રાજ્યભવનમાં રોકાણ, 12મીએ જર્મન ચાન્સેલર સાથે કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શોની મુલાકાત અને ઉદ્યોગ માંધાતાઓ સાથે બેઠક
આગામી તા.10 જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સતાવાર પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે જે મુજબ વડાપ્રધાન તા.10મીએ બપોર બાદ વિમાન માર્ગે રાજકોટ આવી એરપોર્ટથી જ સીધા હેલિકોપ્ટર માર્ગે સોમનાથ પહોંચશે અને ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ તા.11મીએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને બપોરે 1-30 કલાકે રાજકોટ ખાતે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવી પહોંચશે. રાજકોટમાં અઢી કલાકના રોકાણ બાદ ગાંધીનરગ પહોંચશે અને રાત્રી રોકાણ રાજભવનમાં કર્યા બાદ તા.12મીએ અમદાવાદ ખાતે કાર્યક્રમોમાં હાજરી આપી સાંજે દિલ્હી જવા રવાના થનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 થી 13 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં 10 તારીખના રોજ રાજકોટ એરપોર્ટ થી સીધા સોમનાથ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ 11મી સવારે સોમનાથ દાદાના દર્શન કરશે અને ત્યારબાદ 200 અશ્વોના કાફલા સાથે શોર્યયાત્રામાં સહભાગી થશે. રાજકોટનો રોડ શો રદ કરી સોમનાથમાં 20 મિનિટની યાત્રાનો કાર્યક્રમ ઉમેરો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન 11મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે તેઓ અઢી કલાક જેટલું રોકાણ કરશે. બોપરે 1:30 કલાકે વાઇબ્રન્ટ સમિટ ને ખુલ્લી મુકવામાં આવશે અને ત્યારબાદ સમિટમાં હાજર,વિવિધ દેશના રાજદૂતો,અને ઉધોગપતિઓને સંબોધન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ 4:30 તેઓ સીધા જ હેલિકોપ્ટર મારફતે હિરાસર એરપોર્ટ જશે ત્યાંથી સીધા અમદાવાદ ખાતે જવા માટે રવાના થશે. અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમ ખાતે અંદાજે રૂૂ. 1200 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રિ-ડેવલપમેન્ટ કામગીરી સમીક્ષા કરશે ત્યાં એક કલાક જેવું રોકાણ કર્યા બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12-13 જાન્યુઆરી દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. 12મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી અમદાવાદમાં તેમનું ભવ્ય સ્વાગત કરશે. બંને નેતાઓ સાથે મળીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુલાકાત લેશે.ત્યાર બાદ વાઈબ્રન્ટ ફ્લાવર શો નિહાળશે. દેશના ટોચના ઉદ્યોગ માંધાતાઓ સાથે મહત્ત્વની બેઠક યોજશે, જેમાં ટ્રેડ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જી પર ચર્ચા થશે.
ભારત અને જર્મની વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને ગત વર્ષે જ 25 વર્ષ પૂર્ણ થયા છે. ચાન્સેલર મર્ઝની આ પ્રથમ સત્તાવાર ભારત મુલાકાત છે. અમદાવાદ અને બેંગલુરુના પ્રવાસ દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વના કરારો થવાની સંભાવના છે. પીએમ મોદી અને ચાન્સેલર મર્ઝ વચ્ચેની આ મુલાકાત વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત છબી રજૂ કરશે.
