કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની હાલત હાલમાં સ્થિર છે અને તેમને જૂની ખાંસી(Chronic Cough) અને શ્વાસ લેવામાં તકલીફના કારણે દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક રેગ્યુલર ચેકઅપનો એક ભાગ છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે તેમને ખાંસીની સમસ્યા વધી હતી, જેના નિવારણ માટે તેઓ તપાસ કરાવી રહ્યા છે.
https://x.com/PTI_News/status/2008416125667996074?s=20
સોનિયા ગાંધીને ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ચેરમેન ડૉ. અજય સ્વરૂપના જણાવ્યા અનુસાર, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડોક્ટરોએ શોધી કાઢ્યું હતું કે તેમનો શ્વાસનળીનો અસ્થમા થોડો વધુ ખરાબ થયો છે. સાવચેતી રૂપે, તેમને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની હાલત હાલમાં સ્થિર છે અને સારવાર માટે સારો પ્રતિભાવ આપી રહી છે. તેમને એન્ટિબાયોટિક્સ અને ઘણી સહાયક દવાઓ આપવામાં આવી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમને એક કે બે દિવસમાં રજા આપવામાં આવી શકે છે. જોકે, તેમના સુધારાના આધારે ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેવામાં આવશે.
અગાઉ, કોંગ્રેસ સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધીને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે ગયા વર્ષે જૂનમાં સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યસભા સાંસદને હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા.
