પડધરી તાલુકાના દહીસરડા (આજી) ગામના રેવન્યુ સર્વેની ખેડવાણ અમુક જમીન મુળ ખેડુત દિનેશભાઈની માલીકીની આવેલ હતી. જે જમીન અંગેનું સાટાખત તા.15/ 04/ 2025નાં રોજ મુળ ખેડુત દ્વારા આશિષભાઈ રમેશભાઈ ડોડીયાને કરી આપવામાં આવેલ હતું. અને તે જ જમીનનું સાટાખત આ અગાઉ તા.19- 06- 2024ના રોજ અન્ય ત્રાહીત વ્યકિત જોગ મુળ ખેડુતે કરી આપેલ હતું. દરમિયાન આશિષભાઈનું સાટાખત ચાલુ હોવા છતાં તે ત્રાહિત વ્યક્તિ દ્વારા સદરહું જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ મુળ ખેડુત પાસે કરાવી લેવામાં આવેલ. જેની જાણ આશિષભાઈને થતા તેમણે એડવોકેટ વિશાલ કે. સિંધવ મારફત વાંધો ઉઠાવી ડે. કલેકટર સમક્ષ વેચાણ નોંધનો તકરારી કેસ નોંધાવેલ હતો.
જે કેસ ચાલતા ત્રાહીત વ્યકિત પક્ષે તેના વકીલે મારફત એવી દલીલ કરવામાં આવેલ કે અમારું સાટાખત પહેલાનું હોય, તેનાં આધારે મુળ ખેડુત દ્વારા અમોને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ છે. ત્યારબાદ આશિષભાઈ ડોડીયાનાં વકીલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ, જે મુજબ આ કામનાં વેચનાર મુળ ખેડુત દ્વારા અમોને એવી ખાતરી આપેલ કે ટાઈટલ કલીયરની પ્રક્રિયા ચાલુ છે જે પૂર્ણ થયે તમારા સાટાખત મુજબ દસ્તાવેજ કરી આપશું, ત્યારબાદ કોઇ પ્રકારની અગાઉ નોટીસ કે ન્યુઝપેપરમાં કોઈ જાહેરનોટીસ પણ આપવામાં આવેલ નથી, જેથી ખરીદનારને બોનાફાઈડ પરચેઝર કહી શકાય નહીં, ખોટી હકીકતોનું સબ રજિસ્ટ્રર સમક્ષ નીરુપણ કરી દસ્તાવેજ કરવામાં આવેલ છે. જેથી આ વ્યવહાર અટકાવવામાં નહીં આવે તો મલ્ટીપ્લિસિટી ઓફ પ્રોસિડિંગ એટલે કે અન્યને આ જમીન વેચાણ થવાની પુરી શકયતા રહેલી છે જે સંબંધે ખરીદનાર તેમજ વેચનારનો વેચાણ દસ્તાવેજ રદ કરી આશિષભાઈ જોગ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપી આશિષભાઈને કબજો સોંપી આપવામાં નહી આવે તો સિવિલ કોર્ટમાં તેમજ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે જે અંગેની કાનુની નોટીસ પણ આપવામાં આવેલ છે જે નોટીસનો જવાબ આપવામાં પણ આ કામનાં ખરીદનાર અને વેચનાર નિષ્ફળ નીવડ્યા છે. તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનાં ચુકાદા ટાંકી તેનાં ઉપર આધાર આપવામાં આવ્યા હતા. જે હકીકતો ધ્યાનમાં લઈ ડે.કલેકટર દ્વારા વાંધેદાર આશિષભાઈ ડોડીયાની વાંધા અરજી ગ્રાહય રાખી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની રેવન્યુ રેકર્ડમાં વેચાણ નોંધ નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કામમાઽ વાંધેદાર વતી એડવોકેટ વિશાલ કે. સિંધવ રોકાયા હતાં.
