શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડીરાત્રીના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ આણી ટોળકીએ ધમાલ મચાવી દંપતિ અને તેના પુત્રને મારકૂટ કરી વાહનોમાં તોડફોડ કરી હતી.ગાંધીગ્રામ શેરી નંબર 6-બી, શુભમ સાડી સેન્ટર પાસે રહેતા ભાવનાબેન સંજયભાઈ બાબરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,કશ્યપ રાજુભાઈ સોલંકી અને તેની સાથે આવેલા અજાણ્યા ત્રણ ઈસમો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 12 ઓગસ્ટના રોજ સાંજે ફરિયાદી પોતાના ઘરે હાજર હતા ત્યારે બહારથી દેકારો સંભળાતા તેઓ બહાર નીકળ્યા હતા.
આ સમયે કશ્યપ સોલંકી અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ જાહેરમાં ગાળો બોલી રહ્યા હતા. ફરિયાદીએ આ કૃત્ય બદલ ઠપકો આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ ફરિયાદીની મોટરસાયકલને ધક્કો મારીને તોડફોડ કરી હતી અને ફરિયાદીની દીકરી વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આરોપીઓએ ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ દરમિયાન ફરિયાદીનો પુત્ર શુભમ ત્યાં આવતા અજાણ્યા શખ્સે તેને મોઢા પર મુક્કા મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટના બાદ આરોપીઓ થોડીવાર માટે ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ થોડી જ વારમાં કશ્યપ સોલંકી તેના સાગરીતો સાથે પરત ફર્યો હતો. આ વખતે આરોપીના હાથમાં લોખંડનો પાઈપ હતો. ફરિયાદીના પતિ સંજયભાઈ અને પુત્ર શુભમને પણ આરોપીઓએ નિશાન બનાવ્યા હતા. ફરિયાદી જ્યારે પોતાના પુત્રને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપી કશ્યપે તેમના પર પણ લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો.
આરોપીઓએ ફરિયાદી, તેમના પતિ અને પુત્રને પીઠના ભાગે લોખંડના પાઈપના ફટકા મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.સમગ્ર મામલે આખરે 108 ઈમરજન્સી સેવા અને પોલીસની મદદ લેવામાં આવી હતી. 108 દ્વારા ઈજાગ્રસ્ત ભાવનાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની ગંભીરતાને લઈ પીઆઈ હર્ષાબા ગઢવી પીએસઆઈ ગોહિલ સહિતના સ્ટાફે ત્રણ ટીમો બનાવી કુખ્યાત જેનીશ મહાજન,ભાવિક પટેલ અને કશ્યપ સહિતનાની ભાવનાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી ફરાર એક શખસની શોધખોળ આદરી છે.ઉલ્લેખનિય છે કે કુખ્યાત જેનીશ મહાજન આણી ટોળકીએ તાજેતરમાં જ નશામાં ધૂત થઈ મોડી રાત્રીના ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલોના ઘા કર્યા હતા.
