અમરેલી સરઘસકાંડના મામલે અલ્પેશ કથીરિયા ખુલ્લેઆમ મેદાને, સમાજના નેતાઓને પણ પાર્ટીલાઇન ફગાવી બહાર આવવા હાકલ
મિટિંગ માટે જગ્યા ભાડે આપવા તૈયાર થાય તેને તુરત જ ફોન આવતા ના પાડી દયે છે!
અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં નિર્દોષ પાટીદાર યુવતીનુ સરઘસ કાઢવાના મામલે હવે ચારે બાજુ આગ પ્રસરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી છોડી ભાજપમા જોડાયેલા ‘પાસ’ના પૂર્વ ક્ધવીનર અલ્પેશ કથિરિયા પાર્ટીલાઇન ફગાવી ખૂલ્લેઆમ સામે આવી ગયેલ છે. અને સમાજના અન્ય નેતાઓને પણ પાર્ટીને સાઇડ કરી ન્યાય માટે લડતમાં જોડાવા અપીલ કરી હતી.
ગઈકાલે રાતે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી, જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઇ હતી. આ સાથે જ કોઈ ફાર્મ ભાડે ન મળતા આ બેઠક રોડ ઉપર કરવી પડી હતી. અહીં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, સમાજ માટે દુખની વાત કહી શકાય કે એક સમાજની દીકરી માટે ન્યાયની મિટિંગ માટે કોઈ 20 મિનીટ ફાર્મ ભાડે આપવા તેયાર નથી, જેથી આ ફાર્મ હવે કોઈએ ભાડે રાખવા નહિ. આ સાથે જ પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા જોડાવા હુંકાર કર્યો હતો.
સુરતમાં કલેકટરને અને પોલીસને રજૂઆત બાદ હવે પટેલ સમાજમાં મિટિંગોનો દોર શરૂૂ થયો છે. ગઈકાલે રાત્રે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં એક બેઠક મળી હતી. જેમાં પટેલ સમાજના યુવાનો અને વડીલો જોડાયા હતા. આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આ મિટિંગ બોલવવાનો મુખ્ય હેતુ પાટીદાર સમાજના લોકો કોઈપણ પાર્ટીમાં હોય તે પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા આ હુંકારમાં જોડાઈ શકે છે.
અલ્પેશ કથીરિયાએ વધુમાં કહ્યું હતું કે, આપણા સમાજ માટે દુ:ખની બાબત એ છે કે સમાજની દીકરી માટે ન્યાયની માંગ માટે જે મિટિંગ કરવી છે, તેના માટે જગ્યા મળતી નથી. આંદોલન વખતે પણ રોડ પર જ મિટિંગ કરવી પડતી હતી અને ફરી એક વખત આવું જ થઈ રહ્યું છે. પહેલા તો ધન્યવાદ દેવા પડે કે સમાજના કરોડો રૂૂપિયાના ફાર્મ કેશુ બાપાના લીધે થયા છે, પણ બાપાની દીકરી ગુજરાતમાં સલામત નથી. કોઈ ફાર્મ પણ આપણને 20 મિનિટ આપવા માટે તૈયાર નથી. જે વ્યક્તિ તૈયાર થાય છે તેને એવી જગ્યાએથી ફોન આવી જાય છે કે તે તરત જ ના પાડી દે છે.
પાટીદાર સહિત તમામ સમાજની સંસ્થાઓના વડાઓને આગળ આવવા મનહર પટેલનો પત્ર
અમરેલીમાં પાટીદાર સમાજના ભાજપના નેતાઓની આંતરીક લડાઈમાં નિર્દોષ યુવતિનું પોલીસ દ્વારા સરઘસ કાઢવાની ધૃણાસ્પદ ઘટનામાં કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે પાટીદાર સમાજની સંસ્થાઓ સિદસરધામના જેરામભાઈ વાંસજાળિયા, વિશ્ર્વ ઉમિયાધામના આર.પી. પટેલ, સરદારધામના ગગજીભાઈ સુતરિયા, ખોડલધામના નરેશ પટેલ, ઉંઝા ઉમિયાધામના બાબુભાઈ પટેલ, કરણીસેના ઉપરાંત અન્ય સમાજના હોદેદારોને પત્ર લખી આગળ આવવા અપીલ કરી છે. પત્રમાં તેણે જણાવેલ છે કે, ગુજરાતની ન્યાય પ્રિય જનતા ઇચ્છે કે આ સત્તાના નશામાં પોલીસે કરેલા ગુના માટે રાજ્ય સરકાર જવાબદાર પોલીસ ઉપર કાર્યવાહી કરે અને નિર્દોષ દિકરીને મળેલા બંધારણીય અધિકારોની મર્યાદામાં રહીને ખોટા કેસોમાં ફસાવેલ છે તેમનાથી દોષ મુક્ત જાહેર કરે.આ અંગે મારી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનતી છે કે આ નિર્દોષ દીકરીની વધુ અગ્નિપરીક્ષા લીધા વગર રાજ્ય સરકાર દ્વારા 24 કલાકમાં પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો હુકમ કરવામાં આવે. અન્યથા આ નિર્દોષ દિકરીને માનસિક અને નૈતિક બળ આપવા માટે હું મારી જાહેરજીવનના આગેવાનની ફરજ સમજી મુખ્યમંત્રીના આવાસ સામે મૌન ધરણા કરીશ. આ દીકરીની જેટલી મને પીડા છે તેના કરતા પણ વધુ આપને છે, આ શુદ્ધ ભાવ સાથે હું આ કિસ્સામાં આપનો સહીયોગ માંગુ છું અને હું સંપૂર્ણ આશાવાદી પણ છું.
રાજ્યના કોઈપણ ખૂણામાં નિર્દોષ દીકરીની આવી મજબૂરી અને અબળાપણા વાળા કિસ્સા સામે આવે એ રાજ્ય માટે કલંક છે, આવા કિસ્સા અટકાવાના પ્રયાસના ભાગે જાહેરજીવનના આગેવાન તરીકે મારી એક નૈતિક ફરજના ભાગે હું આ દીકરીને મદદરૂૂપ થવા આગળ આવ્યો છુ.
