જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર એસઓજી પોલીસે પડાણા ગામમાં દરોડો પાડ્યો હતો.
બાતમીના આધારે એસઓજી સ્ટાફે ન્યુ પડાણામાં મટીરીયલ ગેઈટ પાસે આવેલી મહાવિર હોટલમાં તપાસ કરી. હોટલના માલિક સુરેશભાઈ જીવરાજભાઈ હરીયાની દુકાનમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવ્યો.
પોલીસે તરંગ વિજ્યાવટી નામની 1510 ચોકલેટ અને તરંગ મદન મોદક વટીની 335 ચોકલેટ જપ્ત કરી. આ બંને આયુર્વેદિક ઔષધિ તરીકે વેચાતી ચોકલેટનો કુલ મુદ્દામાલ 1845 રૂૂપિયાનો છે.
આ મામલે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પીઆઇ બી.એન.ચૌધરી, પીએસઆઇ એસ.પી.ગોહિલ, પીએસઆઇ એલ.એમ.ઝેર અને પીએસઆઇ એ.વી.ખેરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા પોલીસ દ્વારા આવી કાર્યવાહી ચાલુ રહેશે.
