રાજકોટના મનહરપુર વિસ્તારની સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ પકડાયેલ આરોપીની જામીનઅરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. રાજકોટના મનહરપુર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી યશપાલ ઘોહાભાઈ બોરીચા નામનો શખ્સ બાળ કિશોર આરોપીની મદદથી ભગાડી ગયાની ફરિયાદ ભોગ બનનારના પિતાએ યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બાદમાં આરોપી ઝડપાઈ જતા બંનેની પૂછપરછ અને તપાસમાં જામનગર રોડ ઉપર ભરડીયા પાસે ટ્રકમાં સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનું ખૂલતાં યશપાલ બોરીચા સામે કોર્ટની મંજૂરીથી પોક્સો એક્ટ કલમ 4, 6, 8 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી બાદ જેલહવાલે કરાયો હતો. આ ગુનાના આરોપી યશપાલ બોરીચાએ સ્પે. પોક્સો અદાલતમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.
હાઇકોર્ટમાં જે જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી યશપાલ ઘોહાભાઈ બોરીચાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ, અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા અને ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયા હતા.
