રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં આધેડ અને બાબરાના લોન કોટડા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીજપતા બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં માયાણીનગર પાસે આવેલા ચાંમુડાનગરમાં રહેતા અને બાંધકામનો ધંધો કરતા હસમુખભાઇ ભીખાભાઇ શુકલ નામના 48 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હસમુખભાઇ શુકલ ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં બાબરા તાલુકાના લોન કોટડા ગામે રહેતા વિનુ મેધાભાઇ ચાવડા નામનો 36 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે બાબરા અને અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી યુવકનું હાર્ટએટેકથી મોતી નીપજ્યુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
