અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં એક વેનમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, જેસિંગપરાની શેરી નંબર 5 માં પાર્ક કરેલી વેનમાં ફ્યુઅલ ટેન્ક સાથે ગેસનો બાટલો ફાટવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂૂમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. વાહનની અંદર એસિડ અને ફિનાઈલ જેવી જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે શરૂૂઆતમાં આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની કુશળ કામગીરીને કારણે વાતાવરણમાં એસિડ ફેલાય તે પહેલાં જ આગને નિયંત્રિત કરવામાં આવી હતી. આગ બાજુના રહેણાંક મકાનો સુધી ન પ્રસરે તે માટે પણ અસરકારક પગલાં લેવાયા હતા, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. સદભાગ્યે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
અમરેલી ફાયર ઓફિસર એચ.સી. ગઢવીએ જણાવ્યું કે, સિલિન્ડર બ્લાસ્ટનો કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાન ગાડીમાં ફ્યુઅલ ટેન્ક બ્લાસ્ટ થવાથી ત્રણ લોકો દાઝી ગયા હતા, જેમને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ગાડીની અંદર એસિડ અને ફિનાઈલ જેવી સામગ્રી હતી, જેના કારણે થોડીવાર વાતાવરણમાં ગળતર જેવું અનુભવાયું હતું. પોલીસે તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને આગ સંપૂર્ણપણે નિયંત્રિત કરી લેવામાં આવી છે.
