સુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા

સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની હીરા કંપનીમાં છેલ્લા 32 વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર…

સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની હીરા કંપનીમાં છેલ્લા 32 વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ કાનજીભાઈ વાછાણીએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા લગાવાયેલા ચોરીના ખોટા આક્ષેપો અને ત્રાસથી કંટાળી સસરાના ગામે વાડી પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. એમડી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.મળતી વિગતો મુજબ મૂળ માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામના વતની અને હાલ સુરતના કામરેજ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પ્રવીણભાઈ વાછાણી સુરતના વરાછા ખાતે આવેલી ‘કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમટેડ’ની પેટા કંપની ‘અમૃત ટૂલ્સ’માં છેલ્લા 32 વર્ષથી ખૂબ જ પ્રામાણિકતાથી નોકરી કરતા હતા.

મૃતકના પુત્ર પ્રિન્સ વાછાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તાજેતરમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વરુણભાઈ બાબુભાઈ લાખાણીએ પ્રવીણભાઈ ઉપર કારખાનામાંથી લાકડાના ટેબલ, એમસીબી સ્વિચ, નેટ કેબલ અને ખુરશી જેવો સામાન પૂછ્યા વગર લઈ જવાનો આક્ષેપ કર્યો હતો. વાસ્તવમાં આ સામાન ઓફિસના કામ માટે હેડ કર્મચારીને પૂછીને જ લેવાયો હતો અને બાદમાં તે પરત પણ કરી દેવામાં આવ્યો હતો.

ટેબલ-ખુરશી પરત કરી દીધા હોવા છતાં, એમડી વરુણ લાખાણી દ્વારા પ્રવીણભાઈ પર ‘ડાયમંડ પાવડર’ ચોરી કરવાનો નવો ખોટો આક્ષેપ લગાવીને તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની તેમજ સામાજિક રીતે બદનામ કરવાની ધમકીઓ આપી અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પિતા ખોટી ચિંતા ન કરે તે હેતુથી પુત્ર પ્રિન્સે પોતાના માતા-પિતાને કેશોદના સોંદરડા ગામે મામાના (સસરાના) ઘરે મોકલી દીધા હતા.

પ્રવીણભાઈ છેલ્લા એકાદ અઠવાડિયાથી ત્યાં રહેતા હતા. આ દરમિયાન કંપનીના હેડનો ફોન આવ્યો હતો કે, “તમારી જગ્યાએ બીજા માણસને નોકરી પર રાખી લેવામાં આવ્યો છે.” આ સાંભળતા જ 32 વર્ષથી વફાદાર એવા પ્રવીણભાઈ અત્યંત લાગી આવ્યું હતું અને ખોટા આક્ષેપોના આઘાતમાં તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું.

આ સમગ્ર ગંભીર મામલે જૂનાગઢના DYSP હિતેશ ધાંધલિયાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, ગત તારીખ 21 જૂન, 2026ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈએ સોંદરડા ગામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂૂપે સંબંધિત મેજિસ્ટ્રેટ/અધિકારીઓ દ્વારા તેમનું ‘ડાઇંગ ડેક્લેરેશન’ (મરણોન્મુખ નિવેદન) પણ લેવામાં આવ્યું હતું, જેમાં તેમણે પોતાની આપવીતી વર્ણવી હતી. ગઈકાલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ તેમનું પ્રાણપંખેરૂૂ ઊડી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *