જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતા નાગરાજસિંહ મોકાજી જાડેજા નામના 28 વર્ષના યુવાન રવિવારે બપોરના સમયે ખંભાળિયા દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 7 કિલોમીટર દૂર એક મંદિર પાસેથી પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેમના બાઈક આડે એકાએક કૂતરું ઉતરી આવતા તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા. જેના કારણે તેમને ઈજાઓ થતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા મોકાજી માધવસંગ જાડેજાએ ખંભાળિયા પોલીસને કરી છે.
ઓખાના દરિયામાં માછીમાર પ્રૌઢનું હાર્ટ એટેકની મોત
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખામાં રહેતા જગદીશભાઈ દલુભાઈ ટંડેલ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢ ઓખાના દરિયામાં માછીમારી કરવા ગયા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મીઠાપુરમાં તરુણ ઉપર હુમલા
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા પત્રમલભા વિરમભા માણેક નામના 36 વર્ષના યુવાનને અગાઉ ગોરીયાળી ગામના ભાવસંગભા માણેક નામના શખ્સ દ્વારા ગરબી કરવાની ના પાડી હોવા છતાં પણ તેમણે પોતાના વિસ્તારમાં માણસો એકત્ર કરી, અને નવરાત્રીની ગરબી કરાવી હતી. જે બાબતના ખાર રાખીને ભાવસંગભા તેમજ અન્ય બે શખ્સો દેવરાજભા માણેક અને કનૈયાભા નામના કુલ ત્રણ શખ્સોએ ફરિયાદી પત્રામલભાના 15 વર્ષના પુત્રને ગોરીયાળી ગામે બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારીને લોખંડના સળિયા વડે ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે ત્રણેય શખ્સો સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
