મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલી ઓઈલ કટોકટી વચ્ચે 2019 પછી પહેલી વખત ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે ભારતનું જહાજ ગુજરાતના બંદરે પહોંચશે. ભારતે અમેરિકાના પ્રતિબંધોના કારણે 2019થી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી હતી. અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઈલ પરના પ્રતિબંધોમાં એક મહિના માટે છૂટ આપતા ભારતીય રિફાઈનરીઓ ઈરાન પાસેથી વધુ પ્રમાણમાં ઓઈલ ખરીદવા પર નજર દોડાવી રહી છે.
હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધીના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કટોકટી સર્જાતા અમેરિકાએ ઈરાનના ઓઈલની ખરીદી પરનો પ્રતિબંધ 30 દિવસ માટે ઉઠાવી લીધો છે, જેના પગલે ફરી એક વખત ભારત-ઈરાન ઓઈલનો વેપાર શરૂૂ થવાની સંભાવના છે. અમેરિકાના પ્રતિબંધોના કારણે જ ભારતે 2019થી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી હતી. હવે પહેલી વખત 6 લાખ બેરલ ક્રૂડ ઓઈલ સાથે વેસલ પિંગ શન વાડીનાર બંદરે પહોંચી રહ્યું છે.
ભારતીય રિફાઈનરીઓ ક્રૂડ ઓઈલની અછતનો સામનો કરી રહી છે તેવા સમયે આ ઓઈલ પહોંચતા તેમને આંશિક રાહત મળી છે. જોકે, આ ઓઈલની ખરીદી કરનારા ખરીદારનું નામ જાહેર કરાયું નથી.ઈરાનના ક્રૂડ ઓઈલની ખરીદી ફરી શરૂૂ કરવા અંગેનો નિર્ણય ટેક્નો-કોમર્શિયલ સંભાવનાઓના આધારે લેવાશે. ઐતિહાસિક રીતે ભારત ઈરાની લાઈટ અને હેવી ગ્રેડ ક્રૂડ ઓઈલનું મોટું ખરીદદાર હતું. હાલ અમેરિકાએ 19 એપ્રિલ સુધી પ્રતિબંધો હળવા કર્યા છે ત્યારે સમુદ્રમાં અંદાજે 9.5 કરોડ બેરલનું ઈરાની ઓઈલ વેસેલ્સમાં લદાયેલું છે.
જેમાંથી 5.1 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ ભારતને વેચવામાં આવી શકે છે. બાકીનું ક્રૂડ ઓઈલ ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં અન્ય ખરીદદારોને વેચવામાં આવી શકે છે. વાડીનારમાં રશિયન ઓઈલ કંપની રોસનેફ્ટની પેટા કંપની નાયરા એનર્જીની ઓઈલ રિફાઈનરી છે, જ્યાં વાર્ષિક બે કરોડ ટન ઓઈલ રિફાઈન થાય છે. આ સિવાય ભારત પેટ્રોલિયમની બિના રિફાઈનરી જેવી હિન્ટરલેન્ડ રિફાઈનરીઓ માટેનું ક્રૂડ ઓઈલ પણ વાડીનાર બંદરે આવે છે.
