વાવડીમાં આવેલ કારખાનામાં કામ કરનાર શ્રમિકોની ઓરડીમાંથી રાત્રીના તસ્કરે ત્રાટકી રૂૂ. 51 હજારની કિંમતના સાત મોબાઈલની ચોરી કરી ગયો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાના વતની અને હાલ વાવડીમાં ફાલ્કન પંપ નજીક ક્રિસ્ટલ એન્જીનીયરીંગ કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિક નંદલાલ શ્રિકંધઇલાલે(ઉ.વ. 25) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ક્રિસ્ટલ એન્જીનીયરીંગ કારખાનાની ઉપર આવેલી ઓરડીમાં અન્ય શ્રમિકો વશિષ્ઠ ગુર પ્રસાદ, રોહીત કલ્લુ, અર્જુન ગોપાલરામ, સરવન ગોપાલરામ, સુભાષ રામકિશોર સોનકર, વિવેક પ્યારેલાલ સોનકર અને નંદલાલ ગોપાલ રામ સાથે રહે છે અને શ્રીગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં છેલ્લા આશરે ત્રણ મહિનાથી ડ્રિલ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે.
યુવકે જણાવ્યું હતું કે, ગઈ તા.02/01/2026 ના રોજ રાત્રીના બધા મિત્રો મજુરી કામેથી આવી રૂૂમમાં આશરે બારેક વાગ્યે જમીને અલગ અલગ બે રૂૂમના દરવાજા ખુલ્લા રાખીને સુઈ ગયેલ હતા. બાદમાં સવારે આશરે સાત વાગ્યે જાગીને જોતા રાત્રે ચાર્જીંગમાં મુકેલ મોબાઇલ લેવા જતા મોબાઇલ ત્યાં જોવા મળ્યો ન હતો. જેથી શોધખોળ કરવા છતાં મોબાઈલ નહિ મળતા અર્જુન ગોપાલરામ, સરવન ગોપાલરામ અને રોહીત કલ્લુને મોબાઇલ બાબતે પુછપરછ કરવા માટે જગાડતા તેમના પણ મોબાઇલ કે જે તેમની પથારીની બાજુમા રાખેલ હતા તે મળી આવેલ ન હતા. બાદ અન્ય રૂૂમમાં તપાસ કરવા જતાં ત્યાં સુતેલા મિત્રોના પણ મોબાઈલ ગાયબ હોવાનું અને તેઓ પણ પોતાના મોબાઈલ શોધી રહ્યાનું જણાવ્યું હતું.
જેથી કારખાનાની બંને ઓરડીમાંથી રૂૂ. 51,500 ની કિંમતના સાત મોબાઈલ ચોરી થઇ ગયાની જાણ થતાં શ્રમિકે ફરિયાદ નોંધાવી હતી આ ઘટનામા કોઇ જાણભેદુ હોવાની શંકાએ હાલ પોલીસ તપાસ ચાલી રહી હોવાનુ જાણવા મળી રહયુ છે.
