શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં ‘તુ મારી પંચાત કેમ કરે છે’ તેમ કહી યુવાનને પાડોશી શખ્સે માથામાં કડૂ ફટકારી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં આરોપીના ભાઇએ ઇજાગ્રસ્તના ભાઇને ફોન કરી કેસ કરીશતો જીવતો નહી રહેવા દઉ તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસે આરોપી બંધુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મનહરપુર-1માં યોગરાજનગર સોસાયટી પાસે રહેતા હીરાભાઇ કાનાભાઇ ધ્રાંગીયા (ઉ.વ.22)એ યુનિ.પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા રામ જગાભાઇ ચાવડીયા અને તેનાભાઇ ડાયા જગાભાઇ ચાવડીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જૂની અલાવતનો ખાર રાખી ગઇકાલે રાત્રે પ્રજાપતિ ચોકમાં બોલાવી આરોપી રામભાઇએ ‘તે કેમ એવુ પૂછેલુ કે આ ગાડી કોણ લઇને આવેલ છે, તુ મારી પંચાત કેમ કરે છે તેમ કહી ઢીકા પાટુનો માર મારી તેને હાથમાં પહેરેલુ કડૂ માથામાં ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની સારવાર ચાલુ હતુ દરમ્યાન આરોપીના મોટાભાઇ ડાયાભાઇએ તેના મોટા રામભાઇને ફોન કરી જો કેસ કરીશ તો તને લતામાં રહેવુ ભારે કરી દઉસ અને તમને જીવતા નહીં રહેવા દઉ તેવી ધમકી આપી હતી. આ અંગે યુનિ.પોલીસે બંન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
